કોઈ વૃદ્ધ: પણ ઉતાવળો કાં થા ? હજી વાત ક્યાં થઈ ગઈ છે? હજી નાત ક્યાં કશું જાણે છે ? જાણશે ત્યારે સૌ થઈ રહેશે. કોઈએ ઢેઢનાં છોકરાં મંદિરમાં ઘાલ્યાં હશે તો નાત એને પૂછશે, નાત સમરથ છે, કેમ હેં ભાઈ !
અનન્ત૦: (ઊભો થઈ તે) એમ આડી વાત શા સારુ કરો છો ? મને સીધું પૂછો. હું સાચી જ વાત કહેવાનો છું. મેં ઢેઢનાં છોકરાં માતાની જગામાં આણ્યાં એ સાચું. (આખી સભામાં ‘અરરરરરરર’ ‘જય અંબા’ ‘જય આશાપુરી’ ‘માતાજી રક્ષા કરો’ ‘ગજબ થયો’ ‘અબ્રહ્મણ્યમ્’, વગેરે અવાજો.) એ સંબંધી નિર્ણય કરો તે પહેલાં શા માટે અંદર આણ્યાં એ સાંભળો.
એ છોકરાં મેં અંદર ન આણ્યાં હોત, તો એવડા કરા પડતા’તા, કે મરી જ જાત.
એક અવાજ: મરી જતા હશે એમ ! એ જાત તે મરતી હશે ?
અનન્ત૦: (ભાષણ ચાલુ રાખતાં) પણ મેં સાંભળ્યું છે કે બે કે ત્રણ વરસ ઉપર તમારા જ ગામની એક ભેંશ મરી ગઈ’તી. આ વખતે પણ એક ગાય મરી ગઈ તે તમે જાણો છો.
બીજો અવાજ: મરી જાત તો એમાં કયો બ્રહ્માનો વંશ નીકળી જવાનો હતો જે ! એ તો એમ ને એમ માણસો મરે ને જન્મે પાછાં, તેમાં આપણે શું કરીએ ?
જયંતી૦ : ઢેઢનાં છોકરાં સારુ થઈ ને નાતનો રોટલો ટાળ્યો ?
અનન્ત૦ : પણ માતાજી એમ અભડાય જ નહિ. તમે પોતે જ માનો છો, કે એ માતાજીએ માનતાને લીધે એની બહેનને સારી કરી. તે કાંઈ અડ્યા વિના સારી કરી હશે ? જો માતાજી પોતે એને સારી કરે છે, તો હું એને માતાજીના મંદિરમાં લાવીને બચાવું એમાં શું ખોટું કરું છું. તમે તેને (ગડબડાટ