પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દાતણ કરવાના પાટલા ઢાળી રાખ્યા છે. તમે દાતણ કરશો એટલામાં ચા તૈયાર થઇ જશે.'

માલતીને, કોદર જાણે દરેક કામમાં આગળ જઇ આડો ફરતો જણાયો. નાની નાની બાબતમાં તેને જાણે પોતાનું જીવન વ્યર્થ થતું લાગ્યું. એક વેલીને સહસ્ત્ર ફૂલે ફાલવું હોય પણ તેની કળીઓ ઊગતાં જ કપાય તેવી તેની દશા થઇ. અનેક નાનાં દુ:ખો તેને પજવવા લાગ્યાં. અને તે દરેક નાનાં દુ:ખની પછવાડે તેને અનંતતા દેખાવા લાગી. બીજા દિવસની આખરે પરિસ્થિતિ બગડી હતી, સુધરી નહોતી.

આમ ને આમ દિવસો ને માસો ચાલવા માંડયા. માલતીને, આ સ્થિતિ સામે ફરિયાદ કરવી કે તે ઉપર ગુસ્સો દર્શાવવો તે નિર્બળતા લાગી. આવી સ્થિતિમાં પ્રેમ કરવો, બતાવવો, આમંત્રવો કે યાચવો, તે તેને લઘુતા જણાઇ. તે એટલી ગૌરવશાળી હતી કે પોતાનું દુ:ખ તેણે કોઇ પણ માણસ આગળ દેખાવા દીધું નહિ. બહારનાં કોઇ માણસ આમની સ્થિતિમાં કશું અસાધારણ જોઇ શક્યાં નહિ; કોદર કદી જોઇ શકે તેમ નહોતો. શાંતિલાલ બધું જોતો હતો, સમજતો હતો પણ તેને માલતીના રસગર્ભ હૃદયની આસપાસ એવું એક જડ કોચલું બંધાતું જણાયું કે જેને સહેલાઇથી ભેદી શકાય તેમ ન લાગ્યું.

સમગ્ર સ્થિતિના સકારણ ખુલાસા વિનાના કોઇ ક્ષણિક અનુનય કે પ્રેમોર્મિથી ન માને એવી તે માનિની હતી અને આ કુટુંબના ગત અનુભવ વિના તે અનુભવથી ઘડાયેલું કોદરનું માનસ, તે પોતાના જીવનના આવેશમાં સમજી શકે તેમ નહોતી, તો કોદરનો ઇતિહાસસિદ્ધ જડ આગ્રહ માફ કરી કે નિભાવી તો ક્યાંથી જ શકે ? આવા ઘરમાં બે અત્યંત રસોન્મુખ હૃદયો એકબીજાથી પરાકમુખ હિજરાતાં અકથ્ય દુ:ખમાં દિવસ ગાળવા લાગ્યાં. સુખી એક માત્ર કોદર, તેની સેવાની કૃતકૃત્યતામાં.