લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૦
દ્વિરેફની વાતો

માંડ્યું. માલતીના મનનું સઘળું બળ અત્યારે તેના પશ્ચાત્તાપમાં આવી રહ્યું. બળવાનનો પશ્ચાત્તાપ બળવાન હોય છે. આ બીજો આવેગ પૂરો થયો ત્યારે તેણે કહ્યું : “તમે મને કોઈ દિવસ વારી પણ કેમ નહિ?” શાન્તિલાલે નરમાશથી કહ્યું : “તને એ ન ગમે તેમાં તારો દોષ નહોતો. કોઈ પણ સ્ત્રી તેને સહન ન કરી શકે એવો એ થઈ ગયો હતો. ઘરકામમાં એટલી ડખલગીરી કોઈથી સહન ન થાય. પણ હું જાણતો હતો કે એને ના પાડીશ તો નાસી જશે. અને ઘરથી દૂર જતાં એ હિજરાઈને મરી જશે.” માલતીએ હવે સ્વર બદલાવતાં ઠપકાથી કહ્યું: “તમે મને આટલું સમજાવી હોત તો હું તેને નિભાવી લેત.” શાંતિલાલે હવે જરા હસીને કહ્યું: “પણ સાચું કહેજે, મેં તને એમ પહેલાં કહ્યું હોત તો તું સાચું માનત ખરી? તને એમ જ લાગત કે માત્ર તેને રાખવા ખાતર તે મરી જશે એવી ખોટી ધમકી આપું છું. કેમ ખરું કે નહિ?” માલતીએ સરળ મને ફરી શાન્તિલાલના મોં પર મોં નાખી દઈ તેના ગાલ પર ભીની પાંપણ હલાવી હા પાડી.

અને આપણે આટલેથી આ પ્રસંગ મૂકી દઈ વાતમાં આગળ ચાલીએ. આપણે જાણી લીધું કે માલતીના રસગર્ભ ચિત્તની આસપાસ તેણે ઊભું કરેલું કઠોર પડ આજે પીગળીને સરી ગયું છે એટલું બસ છે. એથી વધારે જોવાની જરૂર નથી. રસશાસ્ત્રીઓ માનતા હશે કે કરુણા કે વિષાદ શૃંગારનો વિરોધી ભાવ છે; પણ આપણા સાચા જગતમાં આ પરિસ્થિતિ કામદેવને જરા પણ ઓછી ગોચર નથી હોતી.

ઉપરનો બનાવ બન્યાને દોઢેક વરસ વીત્યા પછી માલતી પિયેરથી એક સુંદર પુત્રને લઈને આવી. સૂતેલા છોકરાને જોઈ શાન્તિએ માલતીને કહ્યું : “આનું નામ શું પાડશું?”

માલતીએ શાન્તિના ખભા ઉપર મોં નાખી દઈ, છુપાવી કહ્યું : “ક ઉપર કોઈ પણ નામ પાડો.”