લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૫
મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદ મંડળ

મેં કહ્યું : પણ આમાં એવી પ્રતીતિ અપાય છે ખરી ? બધાં ભેગાં ખાવા બેઠાં એટલે બરાબર પહેલાં જેવો આનંદ થઈ ગયો એમ ?

ધીરુબહેન : એમની વાતમાં ખાવાનું ન આવે તો બીજા કોની વાતમાં આવે.

ધનુભાઈ : જૂની વાર્તામાં સુખાન્ત વર્ણવવાની એ જ રીત ‘ખાધા પીધાં ને રાજ કર્યાં !’ અહીં પણ બધાંએ ખાધું એ તો તમે જોયું, ચા હતી એટલે પીધું અથવા પીશે એ પણ નક્કી છે, અને રાજ્ય કરવું એને હું સુખ ગણતો નથી એટલે એ ન લખ્યું ?

મેં કહ્યું : મૂળ વાર્તા ધમલાની છે એટલે એને પૂછો કે આ તારા જેવી વાર્તા તને લાગે છે? કેમ ધમલા ?

ધમલા : શા’બ. વાર્તા તો ઠીક, પણ પેલી વાતમાં ત્રણેએ મરીને જેવો નોક રાખ્યો, એવું તો આમાં નહિ જ ને !

ધનુભાઈ : જેમ વ્યવહારમાં આવેશથી મરી જવું સહેલું છે, પણ સહન કરીને– જીવીને ફતેહ મેળવવી અઘરી છે, જેમ લડાઈમાં ઊકળતા લોહીએ મારવું કે મરવું સહેલું છે પણ મહાત્માજીના બેઠા બળવામાં લડવું અઘરું છે, તેમ જ વાર્તામાં પાત્રને મારીને વાર્તાનું ધ્યેય સિદ્ધ કરવું સહેલું છે, પાત્રોને જીવતાં રાખીને કરવું અઘરું છે. વળી ગયા જમાનામાં અને હાલના જમાનામાં મુખ્ય ફરક જ એ છે કે જૂના જમાનામાં પ્રાણ લઈને કે દઈ ને જ્યાં સમાધાન થતાં ત્યાં અત્યારે જીવતાં રહીને મનનું સમાધાન કરવાનું આવે છે. ધમલો જૂના સંસ્કારવાળો છે એટલે એને જૂની વાર્તાનો અંત જ વધારે ગમે; અને તમને પણ એ જ વધારે ગમતો હોય તો એટલે અંશે તમારામાં પણ નવા સંસ્કારો ઓછા !