પ્રમીલા : ભાઈ, એમ જ કહી દો ને કે જેને તમારી વાર્તા આખી દુનિયામાં સૌથી ઉત્તમ ન લાગે તેને વાર્તા અને સંસ્કૃતિ સમજતાં જ નથી આવડતી !
ધનુભાઈ : એ તો મેં કહેવા ખાતર કહ્યું પણ મારો મૂળ મુદ્દો સાચો છે.
મેં કહ્યું : એમ નહિ. જેમ દોરી એકવાર તૂટે પછી સાંધીએ તોપણ અંદર ગાંઠ રહી જાય તેમ કેટલાક વિક્ષેપ એવા છે કે તે એકવાર બન્યા પછી મૂળ સંબંધો પહેલાં જેવા થઈ શકતા નથી. મિત્રની પત્ની તરફ એકવાર દુર્બુદ્ધિ થયા પછી ભૂલ કરનાર મિત્ર તે ખાતર મરે, તો તેના તરફ સર્વાત્મથી જેવી લાગણી થાય તેવી લાગણી તે જીવતો રહ્યો હોય તો ન થાય. અને આ, શાન્તા અને હરિભાઈ બન્નેને માટે ખરું છે. બન્નેને જાણે તેમની અને દીપકની વચ્ચે કંઈક બની ગયું છે એમ લાગે જ.
ધનુભાઈ : માટે જ મેં ફ્રી સમાધાન થવાને માટે મજબૂતમાં મજબૂત કારણો મૂક્યાં છે. બન્ને મિત્રો લડાઈમાં ભેગા હતા. દીપકે પોતે લાઠીમારમાં આડાં પડીને હરિભાઈને બચાવ્યો હતો. આભારની લાગણીથી જ હરિભાઈ–શાન્તા તેને માફ કરવા પ્રેરાય એ સ્વાભાવિક છે. તે ઉપરાંત શાન્તાને ગિરિજા માટે પણ લાગણી હતી. એટલે જેને વધારે આઘાત લાગ્યો છે તેને સમાધાન કરવાને માટે વધારે કારણો પણ છે.
મેં કહ્યું : પણ મારો એક સવાલ છે. શાન્તા તમે કહો છો એવી નવા જમાનાની હોય તો તેને પહેલાં આવો આવેશ આવે નહિ. અને જૂના જમાનાની હોય તો આવો આવેશ આવ્યા પછી તેના મનનું પૂરું સમાધાન થાય જ નહિ.
ધનુભાઈ : બહુ સુંદર શોધી કાઢ્યું ! પણ પ્રમુખસાહેબ