લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૭
મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદ મંડળ

નવા જમાનાનાં છે તો તેમને જ પૂછીએ કે તેમને આવો આઘાત પહેલાં તો લાગે ખરો કે નહિ?

ધીરુબહેન : તમારી વાર્તા ખાતર મારે એવી કલ્પના નથી કરવી. આપણે વાર્તા ઉપર અખતરો કરવા ભેગાં થયાં છીએ, વાર્તા ખાતર માણસ ઉપર નહિ !

ધનુભાઈ : એનો એ જ અર્થ કે આઘાત લાગે જ. પણ એ આઘાતનું સમાધાન કરી તેની સાચા દિલથી ક્ષમા આપવી એ નવા જમાનાની ઉદારતા. અને શાન્તા એટલા પ્રબળ અને વેગીલા મનની છે કે તે જેમ એકદમ આઘાતથી ઉશ્કેરાય છે તેમ જ બીજી બાજુ ગિરિજાનું સૌભાગ્ય સાચવવા ક્ષમા આપવા તત્પર થાય છે. અને ભેગાં જમવા બેસવું એ ખરી ક્ષમા આપી જૂનો સંબંધ ચાલુ કર્યાનું મોટામાં મોટું પ્રતીક છે. જરા પણ મનમાં ગાંઠ રહી ગઈ હોય તો ત્રણેય એમ બેસે નહિ.

પ્રમીલા : ગાંઠ રહી ગઈ છે કે નહિ તે માત્ર દેખાવનો સવાલ નથી. મનના વલણોનો સવાલ છે.

ધનુભાઈ : માણસનું સમાધાન બે રીતે થાય છે : એક બુદ્ધિથી અને બીજું લાગણીથી. વસુમતીના દાખલાથી બુદ્ધિનું સમાધાન ત્રણેયનું થવું જોઈએ. પણ બુદ્ધિનું સમાધાન વસન્તભાઈએ કહ્યું તેવું તૂટેલી દોરીની ગાંઠ વાળવા જેવું છે. લાગણીનું સમાધાન ધાતુને રેણવા જેવું છે, અને તે પણ વીજળીથી રેણવા જેવું છે. એવું સમાધાન અહીં શાન્તા-ગિરિજાના પ્રેમથી અને દીપકે પૂર્વે કરેલ શાન્તા-હરિભાઈ ઉપરના ઉપકારથી થાય છે.

ધીરુબહેન : પણ વસન્તભાઈ, અત્યાર સુધી તમે કેમ કાંઈ બોલતા નથી. એમની વાર્તા ટીકાથી પર છે એમ તમે સ્વીકારવા માગો છો?