થોડીવારે ધર્મશાળાનો પરિચિત કોઈ બાવો આવ્યો તેણે પૂછ્યું “ક્યોં ! સુરદાસજી, આજ ફિરનેકો નહીં ગયે?” સુરદાસજીએ પગ મચકોડાયેલો બતાવ્યો. બન્ને વાતે ઊખળ્યા. સુરદાસે વાતવાતમાં પૂછ્યું: “તુમકો યહ પરદેશી કૈસા લગતા હૈ ?”
“હાં, દેખનેમેં તો અચ્છા લગતા હૈ.” જવાબનો અર્થ તો એટલો જ હતો કે દેખીતો તે પરદેશી સારો લાગે છે, અનુભવ વિના વધારે શું કહી શકાય ? સુરદાસ એ સમજ્યો પણ તેના સંશયદગ્ધ મને સાથે સાથે એવો અર્થ પણ કર્યો કે પરદેશી દેખાવડો છે. તેણે અવાજને સ્વાભાવિક રાખી પૂછ્યું: “અચ્છા ! યહ સિર પર ક્યા રખતા હૈ ?”
“સાફા રખતા હૈ.”
સુરદાસે વિચાર્યું કે પોતે ટોપી જ પહેરે છે. તેણે પૂછ્યું: “અચ્છા યહ કહિયે. દેખનેમેં સાફા અચ્છા લગતા હૈ યા ટોપી ?”
“વહ તો જૈસા આદમી. કિસીકું ટોપી અચ્છી લગે, કિસીકુ સાફા.”
આથી સુરદાસની મૂંઝવણ વધી. સારાં દેખાવાની વાત તેને વધારે ને વધારે અગમ્ય અને પોતાને માટે અશક્ય લાગતી ગઈ. તેણે પાણી માગી વાત બદલી.
અધૂરામાં પૂરું તે દિવસે ટ્રેન મોડી આવવાને લીધે રામપ્યારી અને પરદેશી બન્ને જરા મોડાં આવ્યાં. સુરદાસ કાંઈ બોલ્યો નહિ. ખાતી વખતે માત્ર તેણે બહુ વિચારીને એક પ્રશ્ન પૂછ્યો: “અચ્છા જી, આપ કહાં કે રહેનેવાલે?” પરદેશીએ, જે વિવેક હિંદુસ્તાનીઓને જ આવડે છે તે વિવેકથી જવાબ આપ્યો “જી મૈં જૌનપુરમેં રહતા હું.”
સુરદાસે તરત બીજો સવાલ પૂછ્યો: “અચ્છા તો રામપ્યારી, તુમ કહાં રહતી હો?”