“જૌનપુર.” એક બાળક જેમ વિચાર કર્યા વિના વાક્યનો છેડો પકડી લઈ જવાબ આપે તેમ રામપ્યારીએ જવાબ દઈ દીધો.
સુરદાસ વહેમાયો તે પરદેશીએ જોયું, રામપ્યારીનો જવાબ ખોટો હતો તે પણ પરદેશી સમજી શક્યો હતો. તેણે ઊલટ તપાસ કરી સુરદાસનો સંશય કાઢવા પૂછ્યું : “અચ્છા, તો તુમ જૌનપુરમેં કહાં રહતી હો? કિસકી લડકી?”
રામપ્યારી તેનું વિલક્ષણ હાસ્ય માત્ર ફરી હસી. પરદેશીએ વધારે પૂછવું બંધ કર્યું.
આમ બે ત્રણ દિવસ ચાલ્યું. હવે તો તે રામપ્યારીને રોકાવાનું કહી શકે તેમ ન રહ્યું, કારણકે જૂની બચત ખૂટતી જતી હતી અને ઘણો વખત સુરદાસની ચાકરીમાં જતો હતો તેથી પેલાં બે શહેરમાં ઝાઝું ફરી શકતાં નહોતાં.
આઠ દસ દિવસે સુરદાસ હાલતો ચાલતો થયો. પૈસાની તંગી હતી તેથી શહેરના જે દૂરના ભાગમાં ઘણા દિવસથી તેઓ ગયાં નહોતાં ત્યાં આ વખતે ગયાં. તેમને ઘણે દિવસે ફરતાં જોઈ એક જુવાને કહ્યું:
“અહો ! સુરદાસજી, તુમ ફરી આયે ? મૈં તો સમજતા થા કિ યહ દોનું ફક્કડ બચારા અંધેકુ છોડ કર સહેલ કરનેકું કિધરભી ચલ ગયે !”
રામપ્યારી જરા હસી. પરદેશી બોલ્યો: ‘હમ ગરીબ લોગોં કો ઐસે બદનામ ક્યોં કરતે હો !” પણ સૂરદાસના મનમાં આનો સખ્ત ડંખ લાગ્યો.
એક દિવસ આખી મંડળી બજારમાં ગાતી હતી. તે દિવસે રામપ્યારી નદીથી નાહીને પાછી આવતી હતી, ત્યારે કોઈ બ્રાહ્મણે તેને કપાળમાં ચંદન ચર્ચ્યું અને રસ્તામાં આવતાં એક છોકરાએ તેની ડોકમાં ફૂલનો હાર પહેરાવ્યો