હતા. લશ્કરના સુધારા માટે તે ઘણી મહેનત કરતા, અને પોતાની સાળી (મિસ નાઇટીંગેલ) ના પ્રયાસમાં ઘણા ઉત્સાહથી ભાગ લેતા. નાઇટીંગેલ ફંડના તે અધ્યક્ષ હતા.
પોતાનાં બહેન અને બનેવીની સાથે આરામના દિવસો મિસ નાઇટીંગેલ ઘણા આનંદમાં ગાળતાં.
લેડી વર્ની (મિસ નાઇટીંગેલનાં બહેન) ઘણી સખત બીમારી ભોગવીને ઇ. સ. ૧૮૯૦ માં મૃત્યુ પામ્યાં. તેમના પતિ તેમના મૃત્યુ પછી ચાર વર્ષ પણ પુરૂં જીવ્યા નહિ.તેમના મૃત્યુ પછી મિલક્તનો વારસ તેમની પહેલી પત્નીનો પુત્ર થયો.
બહેનના મરણ પછી પણ કોઈ કોઈ વખત તે કલેડનમાં રહેવા જતાં. પરંતુ ૧૮૯૫ ની સાલથી તે ઘણા જ અશક્ત થઈ ગયાં તેથી મુસાફરી કરી શકાઈ નહિ. અને પોતાના ઘર શિવાય બીજે કાંઈ રહી શકાયું નહિ. કલેડનમાં જે ઓરડામાં એ રહેતાં હતાં તે જેવીને તેવી સ્થિતિમાં રહેવા દેવામાં આવ્યો છે. અને સર એડમંડ (સર હેરીનો પુત્ર) અને તેમનાં પત્નીએ તે એારડાને ' નાઇટીંગેલ રૂમ્સ ' એવું નામ આપ્યું છે.
તેમને બહેનનું દુઃખ ઘણું જ લાગ્યું હતું. અને ત્યાર પછી તેમનું જીવન ઉત્સાહહીન અને નિરાશામય થઈ ગયું છે. જીંદગીથી હવે તે કંટાળી ગયાં છે. એક જણ ઉપર કાંઈ કામસર પત્ર લખેલો તેમાં કહે છે કે-
" આ કામ કરવાની હવે મારામાં જરા શક્તિ નથી. આટલા વખત સુધી મેં આવાં કામ કર્યાં છે પણ હવે એ કામ થતું નથી. લગભગ ચાળીસ વર્ષ થયાં માત્ર બે જ વિષયમાં મારું મન રોકાયું છે, અને વીસ જુવાન માણસ એકઠાં થઈને કરે એટલું કામ મેં માથે લીધું છે; અને તે કામમાં ને કામમાં હું વૃદ્ધ થઈ ગઈ છું."