પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

‘ચોથું પે…લા પાઘડીવાળા શેઠ બેઠા છે ને ? – એમને ત્યાં છે.’

શેઠ તો ગભરાઈ ગયા. કહે, ‘રાજાજી, મને ખબર નહીં કે આપને ત્યાંનું હશે.’

રાજા કહે : ‘ઠીક, એનું તો.’ પછી ચોરની તરફ વળીને કહ્યું : ‘અલ્યા, દાબડીમાં રત્નો તો સાત હતાં. તે સાતમાંથી ચાર જ ચોરેલાં ?’

‘જી મહારાજ, ચાર જ લીધેલાં.’

‘કેમ ચાર જ ?’

‘એટલાં મારે આયખાભર પેટગુજારો કરવા માટે પૂરતાં હતાં.’

‘તો બાકીનાં ત્રણ ક્યાં હતાં ?’

ચોર કહે : ‘અમને ચોર લોકોને આવી વાતની ગમ પડે. ક્યાં ગયાં એ બતાવું ?’

રાજા કહે : ‘બતાવ.’

‘આ તમારા પ્રધાનજી છે ને ? – એમણે લીધાં હશે.’ પ્રધાન તો વાઢ્યા હોય તો લોહી પણ ન નીકળે એવા થઈ ગયા. રાજા કહે : ‘પ્રધાન, સાચું બોલો. બાકીનાં ત્રણ રત્નો તમારી પાસે છે ?’ કરગરીને પ્રધાને કબૂલ કર્યું : ‘હા, મારી પાસે છે.’ આ બધું જોઈ રાજાના અને સભાના આશ્ચર્યનો તો પાર રહ્યો નહીં. રાજાએ ચોરને પૂછ્યું : ‘આ બધું શું છે ? પોતે ચોરી કરી ગયો છે એ વાત પણ સાચી અને બધું રજેરજ તું કબૂલ કરે છે એ પણ અમે જોઈએ છીએ.’ પછી ચોરે પોતે સાધુ પાસેથી સાચું બોલવું એવું વ્રત લીધેલું તે બધી વાત કહી.

આખી સભા ચકિત થઈ. રાજા પ્રસન્ન થયો. એણે કહ્યું : ‘પ્રધાન, આ માણસે તો પેટનો ખાડો પૂરવા ચોરી કરી હતી અને છતાં સાચું બોલવાનું ક્યાંય ચૂક્યો નથી અને તમે તો ખાવાપીવાની કશી ખોટ ન હતી તોયે વધુ સંઘરો કરવા ત્રણ રત્નો ચોરી ગયા. તો જે જગાએ એને જવાનું હતું તે જગાએ – કેદખાનામાં તમે જાઓ અને અહીં તમારી જગા એ પ્રધાનપદે હવેથી આ સત્યવ્રત બેસશે.’

લોકકથા