કેટલાંયે માબાપોને બાળક રાત્રે રમવા ઊઠે એ નથી ગમતું.
કેમ ? જાણે ભારે ઉજાગરો થતો હોય ! નાટક, સિનેમા, સોગઠાંબાજી, શેતરંજ કે ગંજીપાનાં પાનાંમાં થતા ઉજાગરાનો હિસાબ કોને પૂછવો ?
પણ ક્યાં છે કોઈને ખબર કે બાળક તો અનંતમાં રાચે છે ?
રાત્રિ અને દિવસ, સવાર બપોર કે સાંજ, એના આનંદ માટે સરખાં જ છે !
આપણે બાળક મટી ગયાં તે દિવસથી આપણામાં રાત્રિનું ઘોર અંધારું આવી ગયું.
બાળકને તો ઘોર અંધારી રાત્રે પણ અજવાળાં ઊગે; જ્યારે અજ્ઞાન પાપી હૃદયમાં દિવસના અજવાળે પણ ઘોર અંધારાં હોય !
નિર્દોષ હૃદય જ અંધારામાં પ્રકાશ ભાળે.
બાળકો ખાતર આટલાં વાનાં આપણે હરગિજ ન કરીએ.
આપણે પાડોશી સાથે વઢીએ નહિ. હલકા પાડોશથી દૂર નાસીએ. આપણા હલકા મિત્રોનો ત્યાગ કરીએ. દુષ્ટ ભાઈબહેનો કે અન્ય સંબંધીઓને સલામ કરીએ.
ઘરમાંથી દુર્ગુણો દૂર કરવા માટે જંગ માંડતાં જરાય ન ડરીએ.
પોતાના દોષો કાઢવા હઠયોગ આદરીએ; અને કદાચ બાળકને નુકસાન થતું હોય તો તેની માતાના ત્યાગને પણ આપણે અધર્મ્ય ન ગણીએ. બાળકને માટે ઘરમાં સ્વર્ગ રચવા કઠણમાં કઠણ આત્મભોગ આપતાંયે ન અચકાઈએ !