એમા કરતાં શિવરાત્રી આવી. તેરશને દિવસે બાપુએ એને શિવરાત્રીની કથાનો મહિમા સંભળાવીને વ્રત કરવાનો પણ નિશ્ર્વય પણ લેવરાવ્યો. બા કહે કે એનાથી બાપાડા વ્રત નહિ રહેવાય, પણ વ્રત તો લેવાઈ ચૂક્યું હતું.
ચૌદશની રાત પડી. વસ્તીના મોટા મોટા શિવભક્તો પોતપોતાના પુત્રોને લઈ મંદિરમાં જાગરણ કરવા ગયા. મૂળશંકર પણ બાપુ સાથે ત્યાં ગયો. શિવરાત્રીના પહેલા પહોરની પૂજા કરીને બધા પૂજારીઓ તો બહાર નીકળી ઊંઘી ગયાં, પણ ન સૂતો એક મૂળશંકર. એણે સાંભળી રાખ્યું હતું કે સૂવાથી તો શિવરાત્રી નું ફળ ન મળે. આંખે પાણી છંટકોરી છંટકોરીને એ જાગતો રહ્યો. પછી તો બાપુ પણ સૂઈ ગયા.
“બાપુ, બાપુ ! જાગો ને !”
“કેમ મૂળશંકર ? શું છે?”
“બાપુ, આ મંદિરના જે મહાદેવ છે, તે પેલા શિવરાત્રીની કથાવાળા મહાદેવ, કે કોઈ બીજા ?” “એમ કેમ પૂછે છે?”
“કથાના મહાદેવ તો પોઠિયાના વાહનવાળા, ફરતાહરતા, ખાતાપીતા, હાથમાં ત્રિશૂળ રાખતા, ડમરું બજાવતા, વર દેતા ને શાપ આપતા કૈલાસપતિ છે; તો આ મહાદેવ કેમ નિર્જીવ છે?”
“નિર્જીવ કેમ ?”
“આ મહાદેવના લિંગ પર તો ઊંદરડા ફરે એ ને ગંદકી કરે છે; મહાદેવજી એમ કેમ કરવા દે છે?”
“તેં ક્યારે જોયું?”
“અત્યારે જોયું. તમે બધા સૂઈ ગયા હતા. હું જાગતો હતો.”