પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દક્ષિણ આફ્રિકાના હિંદીઓના સવાલની ઐતિહાસિક ભૂમિકા

૧૮૯૩ની સાલમાં ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે તેમાં નાતાલ, કેપ, ટ્રાન્સવાલ અને ઑરેન્જ ફ્રી સ્ટેટ એમ ચાર સંસ્થાનોનો સમાવેશ થતો હતો, દંતકથાઓમાં ગવાયેલા હિંદને માર્ગે જતાં કેવળ અકસ્માતથી દક્ષિણ આફ્રિકાની શોધ કરનારા યુરોપિયનોના વંશજો આ સંસ્થાનોનો રાજવહીવટ ચલાવતા હતા. શરૂઆતમાં પૂર્વના મુલકોના માર્ગમાં મુકામ કરવાના સ્થળ તરીકે અને પાછળથી પોતાના વતન તરીકે તેમણે ત્યાં વસવાટ આરંભ્યો અને તેની ખિલવણી કરી.

૧૮૯૩ની સાલમાં એ મુલકમાં વર્ચસ ધરાવનારા ડચ અથવા બોઅર અને બ્રિટિશ લોકો હતા. તેમાંથી ટ્રાન્સવાલને ઑરેન્જ ફ્રી સ્ટેટમાં ડચ લોકોનું અને નાતાલને કેપમાં બ્રિટિશ લોકોનું વર્ચસ હતું. બ્રિટિશ લોકોએ એ પ્રદેશમાં આવી ડચ લોકો પાસેથી ૧૮૦૬ની સાલમાં કેપનો અને ૧૮૪૩ની સાલમાં નાતાલનો કબજો પડાવી લીધો ત્યાં સુધી આશરે બસો વરસ લગી ત્યાં ડચ લોકોનું લગભગ બિનતકરાર રાજય ચાલતું હતું. આ બે બનાવો બન્યા પછી ઘણાખરા ડચ લોકોએ દેશના અંદરના ભાગમાં જઈ ટ્રાન્સવાલ અને ઓરેન્જ ફ્રી સ્ટેટનો કબજો કર્યો. આમ છતાં ડચ લોકોના પ્રદેશમાં બ્રિટિશોનો અને બ્રિટિશોના પ્રદેશોમાં ડચ લોકોનો વસવાટ હતો ખરો.

આ બન્ને પ્રજાઓ વચ્ચે કાયમ ઘર્ષણ રહેતું. બન્નેને મુલકમાં પોતાની સરસાઈ સ્થાપવી હતી; આખરે બોઅર યુદ્ધ (૧૮૯૯-૧૯૦૨)માં ઘર્ષણ છેલ્લી હદે પહોંચી ગયું. તે યુદ્ધને અંતે દક્ષિણ આફ્રિકાનો આખોયે મુલક બ્રિટિશ સામ્રાજયનો ભાગ બન્યો. ડચ પ્રજાના કબજાના વિસ્તારોમાં વસવાટ કરીને રહેલા બ્રિટિશ તેમ જ હિંદી પ્રજાજનોના વાજબી હકો તેમને મેળવી આપવાને અસલમાં અમે આ યુદ્ધ ખેડયું છે એવો બ્રિટિશ લોકોનો દાવો હતો.

ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં પહેાંચ્યા તે વખતે ચારે સંસ્થાનો એકબીજાથી સ્વતંત્ર હતાં અને સૌ પોતપોતાની નીતિને અનુસરતાં. પોતાના પ્રજાજનોના હિતનું રક્ષણ કરવાને લંડનની બ્રિટિશ સરકાર એ વખતે પોતાના એજન્ટ એ સંસ્થાનોમાં રાખતી અને કંઈક અંશે તેમની સરકારોની નીતિરીતિ પર કાબૂ ધરાવતી પણ પાછળથી ૧૯૧૦ની સાલમાં બ્રિટિશ નેજા નીચે દક્ષિણ આફ્રિકાનું સંઘરાજ્ય રચીને, આ સંસ્થાનો એકત્ર થયાં અને તેમને સ્વરાજના પૂરા અધિકાર મળ્યા ત્યારે લંડનની શાહી સરકારે તેમની બાબતમાં તેમ જ દક્ષિણ આફ્રિકાની સંધ સરકારની બાબતમાં દખલ ન કરવાની નીતિ અખત્યાર કરી. દક્ષિણ આફ્રિકા હવે ડોમિનિયનના દરજજાનું સંસ્થાન છે. તેથી બ્રિટિશ કૉમનવેલ્થનું સ્વરાજના અધિકાર ભોગવતું સભ્ય છે અને પોતાનો વહીવટ પોતાની રીતે પોતાની ઇચ્છા મુજબ ગોઠવવાને સ્વતંત્ર છે એવી શાહી સરકારની એ નીતિ અખત્યાર કરવા માટેની દલીલ હતી. લંડનની શાહી સરકારના એશિયાઈ પ્રજાજનોની ફરિયાદોના નિકાલનો વિષય દક્ષિણ આફ્રિકાના સંઘરાજ્યના ગવર્નર જનરલ-ઇન-કાઉન્સિલને હસ્તક ગયો અને એ બાબતમાં દક્ષિણ આફ્રિકાની સરકારની નીતિ પર પ્રભાવ પાડવાની બ્રિટિશ શાહી સરકારની શક્તિ રહી નહીં. પણ ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના વસવાટના ઘણા મોટા ભાગ દરમિયાન એવી સ્થિતિ નહોતી.'

દક્ષિણ આફ્રિકાના મુલકમાં ખેતીની ખિલવણીને માટે અને તેની ખનિજસંપત્તિનો ઉપયોગ કરવાને માટે ત્યાંનાં સંસ્થાનોના ગોરાઓને મજૂરોની જરૂર હતી. મજૂરો તરીકે આફ્રિકાવાસી તેમને