પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1A.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લંડન ડાયરીમાંથી

આગળ મૂકવા માંડી. બહુ થોડી વારમાં વાત મજાકમાંથી સાચી બની ગઈ. એટલે મારે પોરબંદર જવાનો દિવસ નક્કી કરવામાં આવ્યો.

બેત્રણ વાર હું જવા તૈયાર થયો પણ કંઈ ને કંઈ વિઘ્ન આવ્યું. મારે ઝવેરચંદ સાથે જવાનું એક વખત નક્કી થયું ત્યારે મારે નીકળવાના એક કલાક આગળ એક ગંભીર અકસ્માત થયો. મારા મિત્ર શેખ મહેતાબ [૧] સાથે મારે હમેંશ તકરાર થયા કરતી. નીકળવાને દિવસે એ તકરારોના વિચારોમાં હું ડૂબી ગયો હતો. રાતે સંગીતનો જલસો હતો. મને તેમાં બહુ મજા ન આવી. સાડા દસને સુમારે જલસો પૂરો થયો ને અમે બધા મેઘજીભાઈ અને રામીને મળવા ગયા. આખે રસ્તે એક બાજુથી હું લંડનના ગાંડાઘેલા વિચારોમાં અને બીજી બાજુથી શેખ મહેતાબના વિચારોમાં ડૂબેલો રહ્યો. વિચારમાં ને વિચારમાં અજાણતામાં હું એક ગાડીની સાથે અથડાયો. મને થોડું વાગ્યું. છતાં ચાલવામાં મેં કોઈની મદદ લીધી નહીં. મને લાગે છે મને ખૂબ તમ્મર આવતાં હતાં. પછી અમે મેધજીભાઈના ઘરમાં ગયા. ત્યાં વળી અજાણતામાં હું એક પથ્થર સાથે અફળાયો ને મને વાગ્યું. હું છેક બેભાન થઈ ગયો. તે [વખત]થી શું થયું તેની મને ખબર ન પડી અને મને પાછળથી કહેવામાં આવેલું કે પછી હું થોડાં ડગલાં ચાલીને ભેાંય પર ચત્તોપાટ ગબડી પડયો હતો. પાંચ મિનિટ સુધી મારું ભાન જતું રહ્યું હતું. મારી સાથેવાળા બધાએ માની લીધેલું કે હું મરી ગયો છું. પણ મારે સારે નસીબે જે ભોંય પર હું પડી ગયેલો તે તદ્દન સુંવાળી હતી. આખરે હું ભાનમાં આવ્યો એટલે બધા રાજી રાજી થઈ ગયેલા. મારી માને બોલાવવામાં આવી. મારી વાત જાણીને તે બહુ ગમગીન થઈ ગઈ. એથી મારું જવાનું ઢીલમાં પડયું, જોકે હું સૌને કહેતો રહ્યો કે હું તદ્દન સાજો છું ને મને હવે કંઈ નથી. પણ કોઈ મને જવા દેવા તૈયાર નહોતું. પાછળથી જોકે મને માલૂમ પડયું કે મારી હિંમતવાળી ને વહાલી મા મને જવા દેવાને તૈયાર હતી. પણ તેને બીજા લોકો વાતો કરે તેનો ડર હતો. આખરે ઘણી મુશ્કેલીએ થોડા દિવસ બાદ મને રાજકોટથી પોરબંદર જવાની પરવાનગી મળી. રસ્તે પણ મને થોડાં વિઘ્ન નડયાં.

છેવટે હું પોરબંદર પહોંચ્યો ને સૌ રાજી થયાં. લાલભાઈ[૨] અને કરસનદાસ[૩] મને ઘેર લઈ જવાને ખાડી પુલ સુધી લેવા આવ્યા હતા. હવે પોરબંદરમાં મારે જે કરવાનું [હતું તે] એ કે મારા કાકાની સંમતિ મેળવવાની હતી, બીજું, મને નાણાંની મદદ કરવાને મિ. લેલીને[૪].અરજી કરવાની હતી, અને છેલ્લું, રાજ તરફથી સ્કૉલરશિપ ન મળે તો પરમાનંદભાઈને [૫] મને થોડાં નાણાં આપવાને કહેવાનું હતું. પહેલું કામ મેં એ કર્યું કે હું કાકાને મળ્યો અને મેં તેમને પૂછયું કે હું લંડન જાઉં તે તમને ગમે કે નહીં? પછી કુદરતી રીતે જ મેં ધાર્યું હતું તેમ લંડન જવાના ફાયદા ગણાવવાને તેમણે મને જણાવ્યું. તે મેં મને આવડયું તેવા ગણાવ્યા. એટલે તેમણે કહ્યું, "અલબત્ત, આ પેઢીના લોકોને એ ઘણું ગમે પણ મને પોતાને એ ગમતું નથી. છતાં આપણે આગળ ઉપર વિચાર કરીશું." મને આવા જવાબથી નિરાશા ન થઈ. કંઈ નહીં તો એટલું

  1. ૧. ગાંધીજીનો બાળપણનો મિત્ર તેને સુધારવાને તેમણે ઘણાં વરસ ફોકટ મહેનત કરેલી.
  2. ૨. ગાંધીજીના પિતરાઈ.
  3. ૩. ગાંધીજીના તેમનાથી મોટા ભાઈ.
  4. ૪. પોરબંદરના રાજકુમારની સગીર ઉંમર દરમિયાન પોરબંદર રાજનો વહીવટ કરનાર બ્રિટિશ સરકારને એજન્ટ
  5. ૫. ગાંધીજીના પિતરાઈ.