પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1B.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૫
દાદાભાઈ નવરોજીને પત્ર

હિંદુસ્તાનીઓ પોતાના સાધનના જોર પર અહીં આવે છે તે બેશક એમને ખપતા નથી અને કરારથી બંધાઈને આવતા હિંદુસ્તાનીઓની તેમને ખૂબ ગરજ છે; પણ તેમનાથી પાડી શકાતી હોય તો કરારથી બંધાઈને આવનારા હિંદુસ્તાનીને કરારની મુદત પૂરી થયે હિંદ પાછા જવાની ફરજ પાડવા માગે છે. ખરેખરો સિંહભાગ એમને ખાવો છે! એ લોકો બરાબર જાણે છે કે આ વાત તેઓ એકે તડાકે સાધી શકે એમ નથી. અને તેથી તેમણે ફ્રૅંચાઈઝ બિલ[મતાધિકારના કાયદાના ખરડા]થી શરૂઆત કરી છે. એ સવાલ પર વિલાયતની સરકારનું વલણ કેવું રહેશે તે તેમને ચકાસી જોવું છે. ઍસેમ્બલીના એક સભ્ય મને લખે છે કે વિલાયતની સરકાર ખરડાને મંજૂરી આપશે એવું તે પોતે માનતા નથી. બિલને મંજૂરી ન મળે એ હિંદી કોમની દૃષ્ટિથી કેટલું મહત્ત્વનું છે તે કહેવાની ભાગ્યે જ જરૂર છે.

નાતાલ હિંદીઓને માટે ખોટી જગ્યા નથી. હિંદુસ્તાની વેપારીઓમાંથી ઘણા અહીં આબરૂભેર રોજી રળે છે. આ ખરડો કાયદો બનશે તો હિંદુસ્તાનીઓની ભવિષ્યમાં વેપારરોજગારનું સાહસ કરવાની વાતને ભારે ફટકો પડશે.

અલબત્ત, આ પહેલાં એક વાર મેં જણાવેલું તેમ ફરી પણ હું જણાવું કે દેશી લોકો પરની હકૂમત યુરોપિયનોના હાથમાંથી સરકીને હિંદીઓના હાથમાં જાય એવી જરાયે સંભાવના નથી. એ વાત તો ખાલી વિલાયતની સરકારને ભડકાવવાને સારુ ચલાવવામાં આવી છે. અહીંની સરકાર સમેત અહીં રહેનારાં સૌ કોઈ બરાબર જાણે છે કે એ વાત કદી બને એવી નથી. હિંદુસ્તાનીઓ બે કે ત્રણ ગોરાઓને સભ્યો તરીકે ચૂંટી મોકલે એવું તેમને જોઈનું નથી; કેમ કે તે સભ્યો પછી હિંદીઓના હિતના બચાવમાં રહે. અને સરકારનો ઇરાદો એવો છે કે આવા સભ્યો નહીં હોય ત્યારે કોઈ પણ પ્રકારના વિરોધ વગર પોતે હિંદુસ્તાનીઓને બરબાદ કરવાને ફાવે તેમ કરી શકે.

આ અરજીની નકલો મેં સર વિલિયમ વેડરબર્નને તેમ જ બીજાઓને મોકલી છે. ઉપરાંત મેં હિંદુસ્તાનનાં અખબારોને માટે પણ મોકલી છે.

મારા પત્રના લંબાણને માટે ક્ષમા કરવા વિંનંતી છે કેવી રીતે કાર્ય કરવું તે વિશે સૂચના કરશો તો તમારો મારા પર ભારે ઉપકાર થશે.

હું છું,


સાહેબ,


આપનો વફાદાર સેવક


મો. ક. ગાંધી


[મૂળ અંગ્રેજી]
ગાંધીજીના પોતાના હસ્તાક્ષરમાંના મૂળ લખાણની છબી પરથી.