પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૪
ગાંધીજીનો અક્ષરદેહ


જો આ સંસ્થાનમાંથી સમયના ટૂંકા ગાળા માટે પણ હિંદીઓની આખી વસ્તીને ખેંચી લેવાનું શકય હોય તો મને ખાતરી છે કે માત્ર બહુ થોડા અપવાદો બાદ કરતાં હાલમાં મેાજૂદ છે એવો દરેક ઉદ્યોગ માત્ર વિશ્વાસુ મજૂરોના અભાવે ભાંગી પડશે. સ્થાનિક રહેતા દેશી લોકો નિયમ તરીકે કામ કરવાના નથી એ હકીકત તરફ દુર્લક્ષ કરી શકાય એમ નથી. એટલે આખા સંસ્થાનમાં બધે એ વાત સ્વીકારાયેલી છે કે એક મજૂર તરીકે હિંદી સિવાય ખેતીવાડીનો કે બીજી રીતનો, કાંઈ પણ મહત્ત્વ ધરાવતો ઉદ્યોગ સફળતાથી ચલાવવાનું સંભવિત નથી, એટલું જ નહીં પણ નાતાલનો લગભગ દરેક ગૃહસ્થ ઘરકામ કરનારા નોકરો વિનાનો થઈ પડશે.

૩૧. જેને નિષ્ણાતોનો કહી શકાય એવા શરૂથી તે આજ સુધીના અભિપ્રાયનો લગભગ આખો પ્રવાહ હિંદીઓની ઉપયોગિતા બતાવી આપતો હોય તો તમારા અરજદારો રજૂ કરે છે કે એટલું કહેવાનું વધારે પડતું નથી કે આવી પ્રજાને કાયમી બંધનમાં રાખવી અથવા તેને તે ભરી શકે કે ન ભરી શકે તોપણ વાર્ષિક ૩ પાઉન્ડનો કર ભરવાની ફરજ પાડવી એ વાત ઓછામાં ઓછું કહીએ તો પણ તદ્દન પક્ષપાતભરી અને સ્વાર્થી છે.

૩૨. તમારા અરજદારો તમારું ધ્યાન માનપૂર્વક એ હકીકત તરફ દોરવા માગે છે કે જો આ બિલે કાનૂનનું સ્વરૂપ લઈ લીધું તો વિદેશમાં વસાહત કરવાના ખુદ હેતુઓ બધા સ્વરૂપમાં માર્યા જશે. આ વસાહત કરવાનો હેતુ જો હિંદીઓને છેવટે તેમની આર્થિક સ્થિતિ સુધારવાને શક્તિમાન બનાવવાનો હોય તો તેમને કાયમી ગિરમીટ નીચે રહેવાની ફરજ પાડીને એ હેતુ ફળીભૂત નહીં થઈ શકે જે એ હેતુ હિંદુસ્તાનની ગીચ વસ્તીવાળા ભાગોમાં રાહત ઊભી કરવાનો હોય તો એ હેતુ પણ નિષ્ફળ જ જશે. કારણ કે બિલનો હેતુ સંસ્થાનમાંના હિંદીઓની સંખ્યાને વધારવા દેવાનો નથી, ઇચ્છા તો એવી છે કે જે લોકો ગિરમીટની ઝૂંસરી લાંબો સમય સહન કરી શકે એમ નથી તેમને નવી ભરતી કરીને બદલી નાખવા અને બળજબરીથી હિંદ પાછા મોકલી દેવા. તમારા અરજદારો નમ્રપણે જણાવે છે કે આમ પહેલી સ્થિતિ કરતાં પાછલી સ્થિતિ ખૂબ જ ખરાબ રહેશે. કારણ કે નિકાસના બારા તરીકે નાતાલને સંબંધ છે ત્યાં સુધી એક બાજુથી ગીચ વસ્તીવાળા જિલ્લાઓમાંની હિંદીઓની સંખ્યા જેની તે રહેશે છતાં જેઓ પોતાની ઇચ્છા વિરુદ્ધ પાછા જશે તેઓ ચિંતા અને તકલીફનું કારણ બન્યા સિવાય રહેશે નહીં. એનું કારણ એવું છે કે તેઓ કામ મેળવવાની કોઈ આશા વિનાના અથવા ભરણપોષણ માટે કોઈ મૂડી વિનાના હોવાથી તેમનો ગુજારો સરકારી ખર્ચે કરવો પડે એવું બનવાજોગ છે. આ વાંધાના જવાબમાં એમ કહી શકાય કે અહીં એવી પરિસ્થિતિ કલ્પી લેવાઈ છે કે જે કદી ઊભી જ થાય એમ નથી; કહેવાની મતલબ એ કે હિંદીઓ ખુશીથી વાર્ષિક કર ભરી દેશે. પરંતુ અમારા અરજદારો એટલું દર્શાવવાની રજા ચાહે છે કે જો આવી દલીલ આગળ કરવામાં આવે તો એનાથી હકીકતમાં એવું સાબિત થશે કે ફરી કરાર કરવાની અને વાર્ષિક કર ભરવાની કલમો ધારેલી અસર પેદા નથી કરતી તેટલે અંશે બિલકુલ નકામી છે. ઉદ્દેશ કાંઈ પણ આવક વધારવાનો છે એવી તો કદી દલીલ કરવામાં આવી નથી.

૩૩. એટલા ખાતર તમારા અરજદારો જણાવે છે કે, જો સંસ્થાન હિંદીઓ સાથે મેળ બેસાડી શકે એમ ન હોય, તો તમારા અરજદારોના નમ્ર અભિપ્રાય પ્રમાણે એકમાત્ર રસ્તો ભવિષ્યમાં નાતાલમાં બધા જ વસાહતીઓનો પ્રવેશ કાંઈ નહીં તો હાલ તુરત માટે બંધ કરવાનો છે. તમારા અરજદારો એવી વ્યવસ્થા સામે માનપૂર્વક છતાં ભારપૂર્વક વાંધો ઉઠાવે છે જે માત્ર