પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
ઘાશીરામ કોટવાલ.


પં૦— હવે એવું કરો કે, દરરોજ સવારમાં બે શીધાં, નિર્મળ પાણીએ ભરેલી બે ગોળી; એ રીતે એક પવિત્ર બ્રાહ્મણના દંપતીની (ધણી ધણીયાણી) પૂજા કરીને તેને આપવા, એટલે માબાપને સઘળું પહોંચ્યું.

ઘા૦— આપ એક દંપતીને શોધી કહાડી દરરોજ સવારે મોકલ્યા કરજો. ઘણું સારું, એમ કહી કોટવાલને આશીર્વાદ દઇ પંડિતજી પોતાને ઘેર આવ્યા. ઘરમાં પરણેલી સ્ત્રી કોઇને નહોતી, તેથી પોતાના મોટાભાઇ, તથા તેની રાખેલી કુંભારણ, એ બંને દંપતી કોટવાલ પાસે મોકલવાનો બેત કર્યો. પોતાનો ભાઇ તથા કુંભારણ ઘાશીરામને ઘેર શીધું તથા કુંભ લેવા જતાં હતાં; ને ત્યાં જતી વખત કુંભારણ બ્રાહ્મણીનો પહેરવેશ વગેરે કરતી હતી. પાછાં ઘેર આવ્યા પછી કુંભારણ ઘડા બજારમાં વેચી આવી પૈસા લાવતી; ને તે શીધું તથા દક્ષણા ઉપર પંડિતજી તથા તેના ભાઇઓ, પોતાનો નિર્વાહ બીજી આમદાનીની ગરજ શિવાય સારી પેઠે કરવા લાગ્યા. પંડિતજી કોઈ કોઈ વાર તિથિ પર્વણી હોય ત્યારે જાતે ઘાશીરામને ઘેર જતા આવતા. આવી રીતે પાંચ છ મહીના ગુજર્યા. એક દિવસે કોટવાલે પંડિતજીને બોલાવી એકાંત લઈ જઈ વાતચિત કરી તેઃ–

ઘા૦— પંડિતજી! ગઇ રાત્રે માબાપ સ્વપ્નમાં આવ્યાં, ને પાણી, પાણી, પાણી ! એવા શબ્દ બોલ્યાં, તેનું કારણ શું છે ?

પં૦— આજ ત્રણ દિવસ થયા આપને ઘેરથી જે ઘડા મળ્યા છે, તે ત્રણે ઘડા કાચા હતા, તે સબબથી દંપતીને ઘેર પહોંચતાં પહેલાં ફૂટી ગયા હતા; સબબ ત્રણ દિવસ સુધી માબાપને પાણી પહોંચતાં હરકત થઇ. આ વાતની આપને સૂચના કરવાની શંકા થઇ હતી; પણ હું આપને કહેવા આવ્યો નહીં.

ઘા૦— પંડિતજી ! અહીં ભીડ શાની છે ? તમારે મારી સાથે કાંઇ પડદો રાખવો નહીં, પાણી રાખવાની કાંઇ બીજી તજવીજ કરો.

પં૦— ચીનાઇ માટીના સફેત રંગના ઘડા મળે છે. તે મંગાવીને નિત્યે દંપતીને આપતા જાઓ; અને અમાસને દહાડે એક ત્રાંબાનો હાંડો ભરીને આપવો; તેથી કરીને એવું થશે કે, માટીનું વાસણ કાંઇ કારણથી કદાચ ફૂટી ગયું તો હાંડામાંના પાણીથી પિતૃઓની તરસ બૂઝશે.

આ વાત સાંભળી કોટવાલે કહ્યું કે, એ ઘણી સારી વાત છે. પછી પંડિતજીને તેને ઘેર જવાની રજા આપી ને ત્યારથી ચીનાઇ માટીના કુંભ મગાવી આપવા માંડ્યા. મહીનો પૂરો થાય, એટલે એક ત્રાંબાનો હાંડો આપવા માંડ્યો. પંડિતજીના ભાઇ જે ચીનાઇ માટીના ઘડા લાવતા