પૃષ્ઠ:Ghasiram Kotarval.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨
ઘાશીરામ કોટવાલ.

નામે એક છોકરો થયો. તે વેદશાસ્ત્રમાં પ્રવીણ થયા બાદ તીર્થયાત્રા કરતો કરતો અલંદીમાં આવ્યો. તે વખતે એ ગામનું નામ અલકાવતી હતું. ત્યાં સીદોપંત કરીને એક બ્રાહ્મણ રહેતો હતો, તેની સાથે વિઠોબાનું સહેજ મળવું થયું. તે વિઠોબાની વૃત્તિ જોઈને તેને પોતાને ઘેર લઈ ગયો, અને ભોજન કરાવી તે દિવસે પોતાને ઘેર રાખ્યો. રાત્રે સીદોપંતને સ્વપ્નનું થયું કે, તારી કન્યા રુકમાઈનાં લગ્ન વિઠોબા સાથે કરી એને પેટે ચાર અવતારી પુરુષ જન્મ લેશે. તે ઉપરથી સીદોપંતે આ હકીકત વિઠોબાને સવારમાં ઉઠીને કહી. ત્યારે તેણે સમાધિ ચહડાવીને જોયું, તેથી તેને લગ્ન કરો, એવું દૃષ્ટાંત માલુમ પડ્યું. બાદ શાસ્ત્રવિધિ પ્રમાણે રુકમાઈનાં લગ્ન વિઠોબા સાથે થયાં બાદ સસરા જમાઈ તથા છોકરી સુદ્ધાં પંઢરપુર ગયાં ત્યાથી સીદોપંત તથા રુકમાઈ અલંદી પાછાં આવ્યાં અને વિઠોબા રામેશ્વરની જાત્રાએ ગયો. તે જાત્રા કરીને કેટલેક વર્ષે પાછો અલંદીમાં આવ્યો. તે વખત રુકમાઈ મોટી થઈ હતી. તેની સાથે કેટલાક વર્ષ અલંદીમાં રહ્યો; પણ કાંઈ છોકરાં થયાં નહીં. ત્યારે સંન્યાસ લેવો, એવું તેના મનમાં આવ્યું; પણ સસરાને તથા સ્ત્રીને પૂછ્યું તો તે બંનોએ રજા આપી નહીં. તેથી તેમ જ થોડા દિવસ કહાડીને ગંગાજી નાહવા જાઉં છઉં, એમ કહીને અલંદીથી નિકળ્યો, ને કાશી ગયો, ને ત્યાં શ્રી રામાશ્રમ નામના સંન્યાસી હતા, તેને મને સ્ત્રી છોકરાં કંઈ નથી, એવું સમજાવી તેના હાથથી સંન્યસ્ત લીધું તે ખબર કેટલેક દહાડે તેને સાસરે પહોંચી. તે વખત રુકમાઈ ભર જુવાનીમાં હતી. તે કારણથી તેણે તથા તેના બાપે ઘણી હાયપીટ કરી; પણ લાચાર થઈ છાનાં રહ્યાં. રુકમાઈ દેવની સેવા કરવા લાગી, ને નિત્ય પીપળાની પ્રદક્ષિણા કરતી હતી. ત્યાર બાદ ઈશ્વર ઈચ્છાથી, વિઠોબાને જેણે સંન્યાસ લેવડાવ્યો હતો, તે સંન્યાસી જાત્રા કરતાં કરતાં અલંદીમાં આવ્યા, ને જે પીપળાના ચોતરા ઉપર રુકમાઈ પ્રદક્ષિણા કરતી હતી તેની પાસે આવ્યા. તે વખત રુકમાઈ તેને પગે પડી. ત્યારે “અષ્ટપુત્રા સોભાગ્યવતી ભવ” એવા આશીર્વાદ તેણે આપ્યો. તે સાંભળી તેને હસવું આવ્યું. તે ઉપરથી શ્રીપાદે મારો વિનોદ તારા મનમાં કેમ આવ્યો તે કહે એવું પૂછ્યું. તે વખતે તેણીએ જવાબ દીધો કે, મારા ધણીએ સંન્યાસ લઈને કાશીમાં વાસ કર્યો છે ત્યારે મને છોકરાં ક્યાંથી થશે ? એમ મનમાં આવ્યાથી આપનું વચન મને આશ્ચર્યકારક લાગ્યું. તેથી શ્રીપાદે રુકમાઈના ધણી વિષેની નિશાણીઓ પૂછી, તે ઉપરથી પોતે જેને સંન્યાસ લેવડાવ્યા હતા, તેજ એનો ધણી છે