પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બ્રહ્મગોટાળો
૧૩૩
 

‘શું ?’

‘કે મારી તિલ્લુ તમારા છોકરા વેરે પરણશે જ નહિ.’

‘તો કોના છોકરા હારે પરણશે ?’

‘એ એની ઇચ્છાની વાત છે. એ ઇચ્છાવરને જ પરણશે.’

‘અરે, વાતમાં શો માલ છે ? તો તો અમારી જનેતાનાં દૂધ જ લાજે. ઇ એનો ઇચ્છાવર અમારી સામે આવે તો ખરો ! એનાં છઠ્ઠીનાં ધાવણ કાઢી નાખીએ, હા !’

સર ભગન જેમજેમ સમજાવટ કરતા જતા હતા તેમતેમ જાનૈયાઓનો લડાયક મિજાજ વધતો જતો હતો.

‘અમે જલાલપુર–બાદલાથી આયાંકણે ગગો પઇણાવવા આવ્યા છીએ, ડાકોરની જાત્રાએ નથી નીકળ્યાં, હા !’

‘ખીમચંદને ખભે છેડાછેડી બાંધ્યા વિના આયાથી આઘા ખસે ઈ બીજા, હા !’

‘ને એમાં અમારી કન્યાને આડેથી કોઈ વરી જશે તો આડી લાશું ઢળી જશે લાશું, હા !’

‘ઈ તમારો પ્રકાશશેઠ છે ક્યાં ? અમારી સામે હાજર તો કરો, તો એને ખબર પાડી દઈએ કે પારકી કન્યાને સવેલી કેમ પરણી જવાય છે, હા !’

‘એનાં હાડકાં ખોખરાં કરી નાખીએ, એટલે એનેય ખબર પડે કે જલાલપર–બાદલાનું પાણી કેવું હોય છે, હા !’

આ ધમકીઓ સાંભળીને સર ભગને કહ્યું. ‘એનાં હાડકાં ખોખરાં કરવા માટે તમારી જરૂર નહિ પડે.’

‘કેમ ?’

‘કરનારાં કરશે જ. પણ તમે હવે અત્યારના પહોરમાં ચા–પાણી પીને શાન્ત થાવ.’

‘ચા–પાણી તો અમે પાલઘર સ્ટેશનથી પીને આવ્યા છીએ. હવે તો ખીમચંદનાં પાણિગ્રહણ થઈ જાય એટલે હાંઉ.’