‘શેઠ, આ તે શો અન્યાય !’ ગિરજો ગરજી રહ્યો.
‘તને શું વાંકું પડ્યું અહીં શ્રીભવનમાં ?’
‘અરરર ! બીજા કોઈ ઉપર નહિ ને બ્રહ્મપુત્રો ઉપર પોલીસનો પંજો પડ્યો ?’
‘શું થયું ?’ સર ભગન ચોંકી ઊઠ્યા.
‘અમારા પરમ પૂજ્ય આચાર્ય–દેવ શ્રી ૧૦૦૦૮ પ્રખર પંડિત, જ્યોતિષમાર્તંડ શ્રી શ્રી—’
‘અલ્યા, જલદી મૂળ નામ જ ભસી મરની, ડિગ્રીઓ તો નામને છેડે આવે કે પહેલાં ?’
‘અરે, એવા મહાન ડિગ્રીધારી જ્યોતિષાચાર્ય શ્રીમદ્ જટાશંકરાચાર્યજીને અને એમના સુશિષ્ય શ્રી શ્રીમદ્—’
‘નામ નામ બોલની ઝટ.’
‘સુશિષ્ય શ્રી જ્યોતિષકલ્પતરુ શ્રીમદ્ ભૈરવૈશ્વરાનંદજી…’
‘એ બેઉએ દાઢી વધારેલી ?’
‘દાઢી શું, પંચકેશ વધારેલા.’
‘બસ, તો એમાં જ પોલીસે આ ભાંગરો વાળ્યો.’
‘કેવી રીતે ?’
‘આંધળે બહેરું કુટાઈ ગયું અંધારામાં.’
‘એટલે ?’
‘લાલીને બદલે માલી જેવું જરાક થઈ ગયું. બ્રહ્મગોટાળો જ.’
‘પણ અમારા પૂજ્ય આચાર્યને અને એમના શિષ્યપ્રવરને આ રીતે પોલીસ પકડી જાય એ તો ક્યાંનો ન્યાય ? એટલે કે ક્યાંનો અન્યાય ?’
‘એ અન્યાયનો હું ઉપાય કરું છું.’
‘કેવી રીતે ?’
‘એ રીત–બીતની તમારે શી પંચાત ? હું તમારા આચાર્યને ને એમના શિષ્યને પોલીસની કસ્ટડીમાંથી હમણાં જ છોડાવી