પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.







૨૧.
દીકરીએ દીવો રહેશે ?
 

‘પ્રલય શરૂ થઈ ગયો કે શું?’

‘કે પછી વિમલ તળાવ ફાટ્યું ?’

‘ભાગો, ભાગો...મારી નાખ્યા...મારી નાખ્યા...’

આંખના પલકારામાં જ એ બની ગયું. ઇન્દ્રાપુરી જેવી રોશની એકાએક બુઝાઈ જતાં એ માનવમેદની મૂંઝાઈ ગઈ. આમેય, સહસ્ત્રચંડી યજ્ઞનાં દર્શને આવેલાં એ ભોળુડાં ને ભયગ્રસ્ત લોકો અજ્ઞાનતિમિરમાં તો અટવાતાં જ હતાં. અત્યારે વીજળીનો પ્રકાશ પણ બુઝાઈ જતાં એ અંધશ્રદ્ધાળુઓ વિશેષ આંધળાં બનીને આમથી તેમ અટવાવા લાગ્યાં.

‘આનું નામ જ અષ્ટગ્રહીનો શાસ્ત્રકથિત ઉલ્કાપાત.’

'શાસ્ત્રવચન મિથ્યા થાય જ કેમ? મોડેમોડે પણ પરચો થયો ખરો.’

‘અલ્લાને ઘેર દેર છે, પણ અંધેર તો નથી જ.’

‘એટલે જ તો અહીં અંધારું ઘોર થઈ ગયું ને!’

આખા શ્રીભવનમાં આ યજ્ઞવેદીની જ્વાળાઓ સિવાય બીજે ક્યાંય પ્રકાશનું નામ જ ન રહ્યું. એ સાર્વત્રિક અંધકાર વચ્ચે યજ્ઞવેદીની લબકારા લેતી લાલચોળ જ્વાળાઓ વધારે બિહામણી બની રહી. ઊંડાઊંડા નર્કાગારમાં યમરાજ નૃત્ય કરી રહ્યા હોય એવો એ ભયપ્રેરક દેખાવ હતો.

સર ભગન થોડી ક્ષણ એવા તો સ્તબ્ધ બની ગયા કે ભયસૂચક પોકાર કરવાનાય એમને હોશ ન રહ્યા. આ અણધાર્યા