શ્રીભવનના ઉદ્યાનમાં યજ્ઞવેદીના ખોદકામ માટે કોદાળીતિકમના એકસામટા અવાજ ઊઠી રહ્યા હતા. એની સાથે તિલ્લુના નૃત્યખંડમાંથી તિલ્લાણાં ઠેકાઓ તાલ મિલાવી રહ્યા હતા.
સર ભગનના મગજમાં આ બેઉ પ્રક્રિયાઓનો કોઈ રીતે મેળ બેસતો નહોતો. યજ્ઞકુંડનું ખોદકામ ખરી રીતે તો મહાવિનાશકારી પ્રલય સામે પાળ બાંધવાનો પુરુષાર્થ હતો. એ પ્રવૃત્તિમાં સર્વનાશની, મૃત્યુના અનિષ્ટની છાયા કળાતી હતી. એ કુંડના ખોદકામમાં તિકમકોદાળીના ખડખડાટ સાથે તિલ્લુનાં નાચગાનનો ઉલ્લાસભર્યો તાલ શી રીતે મળે ?
સર ભગનની જાડી બુદ્ધિને પણ આ સૂક્ષ્મ વિરોધાભાસ સૂઝી આવ્યો, તેથી એમણે તિલ્લુ સમક્ષ ફરિયાદ કરી :
‘દુનિયા આખીનો નાશ થવા બેઠો છે ત્યારે તને આવાં નાચગાન કેમ સૂઝે છે ?’
‘સૃષ્ટિના સંહાર વખતે પણ શંકર ભગવાને નૃત્ય તો કર્યું જ હતું. માત્ર, એ તાંડવનૃત્ય હતું.’
‘પણ તું તો જમુનાતટે શ્રીકૃષ્ણ સાથે રાસક્રીડા કરતી ગોપીનું જ નૃત્ય કર્યા કરે છે.’
‘એ તો હજી સૃષ્ટિનો સંહાર નથી થઈ ગયો ત્યાં સુધી જ.’
‘અને અષ્ટગ્રહીને દિવસે એ થશે ત્યારે ?’
‘સંહાર થશે કે તુરત જ હું લાસ્યને બદલે તાંડવનૃત્ય શરૂ કરી દઈશ.’