‘જી હા. કોના બાપની દિવાળી ? ગિરજાને ક્યાં ગાંઠનું ખર્ચવું પડે એમ હતું ? નાત નાતનું જમે ને મુસાભાઈનાં વા–પાણી...’
‘મહાચંડી યજ્ઞમાં બ્રાહ્મણો તો નોતરવા જ પડે ને ?’
‘પણ કેટલા?’
‘ગિરજો નોતરે એટલા.’
‘પણ શેઠ, શહેરની બધી જ ધરમશાળાઓ ભરાઈ ગઈ છે. અને રોજ ત્રણેય ટંક ટ્રેન આવે છે ને નવાનવાં ટોળાં શ્રીભવનનું સરનામું પૂછતાં આવતાં જ જાય છે.’
‘એ તો પુણ્યકાર્ય માટે આવે છે. આપણા મહેમાન છે.’
‘એ સાચું, પણ એમને મારે ઉતારવા ક્યાં હવે ?’
‘તંબુ-રાવટીઓ તાણો.’
‘હવે ખાલી જગ્યા જ નથી રહી.’
‘લૉજ-વીશીઓમાં ?’
‘ત્યાં તો મહાચંડી યજ્ઞના દર્શનાથીઓનો દરોડો પડ્યો છે.’
‘સાચે જ ?’
‘જી, હા. લૉજવાળાઓને તડાકો પડી ગયો. ભાવ બમણા કરી નાખ્યા છે.’
‘એ લોકોની કમાણી આ ક્ષણભંગુર દુનિયામાં ક્યાં સુધી ટકશે ? અષ્ટગ્રહીની આફતમાં બધું સાફ થઈ જશે.’
‘પણ સાહેબ, મને આ ભૂદેવોને ભરાવો મૂંઝવી રહ્યો છે.’
સર ભગનને હોઠે શબ્દો આવી ગયા : ‘ફૂંકી મારો.’ પણ તુરત તેઓ એ શબ્દો ગળી ગયા. આ કાંઈ ગાંસડીઓનો ભરાવો નહોતો કે ભાવ વધારે ગગડતા અટકાવવા અને વધારે નુકસાની ટાળવા માલ ફૂંકી મારી શકાય. આ તો, પરમ પૂજ્ય ભૂદેવો હતા. તેથી જ એમણે એ બ્રહ્મપુત્રો પ્રત્યેના પૂજ્યભાવથી પ્રેરાઈને મહેતાને હુકમ કરી દીધો :