પૃષ્ઠ:Grihashtak Vatta Ek.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
ગ્રહાષ્ટક વત્તા એક
 


‘જી હા. કોના બાપની દિવાળી ? ગિરજાને ક્યાં ગાંઠનું ખર્ચવું પડે એમ હતું ? નાત નાતનું જમે ને મુસાભાઈનાં વા–પાણી...’

‘મહાચંડી યજ્ઞમાં બ્રાહ્મણો તો નોતરવા જ પડે ને ?’

‘પણ કેટલા?’

‘ગિરજો નોતરે એટલા.’

‘પણ શેઠ, શહેરની બધી જ ધરમશાળાઓ ભરાઈ ગઈ છે. અને રોજ ત્રણેય ટંક ટ્રેન આવે છે ને નવાનવાં ટોળાં શ્રીભવનનું સરનામું પૂછતાં આવતાં જ જાય છે.’

‘એ તો પુણ્યકાર્ય માટે આવે છે. આપણા મહેમાન છે.’

‘એ સાચું, પણ એમને મારે ઉતારવા ક્યાં હવે ?’

‘તંબુ-રાવટીઓ તાણો.’

‘હવે ખાલી જગ્યા જ નથી રહી.’

‘લૉજ-વીશીઓમાં ?’

‘ત્યાં તો મહાચંડી યજ્ઞના દર્શનાથીઓનો દરોડો પડ્યો છે.’

‘સાચે જ ?’

‘જી, હા. લૉજવાળાઓને તડાકો પડી ગયો. ભાવ બમણા કરી નાખ્યા છે.’

‘એ લોકોની કમાણી આ ક્ષણભંગુર દુનિયામાં ક્યાં સુધી ટકશે ? અષ્ટગ્રહીની આફતમાં બધું સાફ થઈ જશે.’

‘પણ સાહેબ, મને આ ભૂદેવોને ભરાવો મૂંઝવી રહ્યો છે.’

સર ભગનને હોઠે શબ્દો આવી ગયા : ‘ફૂંકી મારો.’ પણ તુરત તેઓ એ શબ્દો ગળી ગયા. આ કાંઈ ગાંસડીઓનો ભરાવો નહોતો કે ભાવ વધારે ગગડતા અટકાવવા અને વધારે નુકસાની ટાળવા માલ ફૂંકી મારી શકાય. આ તો, પરમ પૂજ્ય ભૂદેવો હતા. તેથી જ એમણે એ બ્રહ્મપુત્રો પ્રત્યેના પૂજ્યભાવથી પ્રેરાઈને મહેતાને હુકમ કરી દીધો :