પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

નવી રંગભૂમિ અવેતન, વ્યવસાયી-વેતનીય એમ બંને 'લેવલે' ચાલે છે. ચંદ્રવદન મહેતાના સંનિષ્ઠ પ્રયત્નો રંગભૂમિને માંડવામાંથી હૉલમાં લઈ આવે છે. ચન્દ્રવદન મહેતાથી રંગભૂમિ અનેક રીતે અનેક અર્થમાં બદલાઈ છે. વિનોદ અધ્વર્યું એ પછી ૨. વ. દેસાઈ, પ્રાગજી ડોસા, ગુણવંતરાય આચાર્ય, ધનસુખલાલ મહેતા, ગુલાબદાસ બ્રોકર, ચૂનિલાલ મડિયા, નંદકુમાર પાઠક, બચુભાઈ ટાંક, અનંત આચાર્ય, યશોધર મહેતા અને પન્નાલાલ પટેલ જેવા લેખકોની માહિતી આપે છે. રઘુવીર ચૌધરી, શિવકુમાર જોશી આદિનાં રંગભૂમિક્ષમ નાટકોની કે શ્રીધરાણીનાં નાટકોની, જયંતિ દલાલની ચર્ચા કર્યા પછી નવાં આધુનિક નાટકોની નોંધ કરે છે.

તેમના આ લેખમાં નાટકના સ્વરૂપના આરંભ અને વિકાસનું આલેખન છે. 'રંગભૂમિ' અને 'નાટક'ની ભિન્નતાને તેમણે જોઈ છે. તેના કારણો પણ શોધ્યા છે. અલબત્ત, નાટકના સ્વરૂપ વિશે કે તેની રંગભૂમિક્ષમતાનાં આવશ્યક તત્ત્વો વિશે ચર્ચા કરતા નથી. તેમનો આશય નાટકના સાહિત્યસ્વરૂપનો વિકાસક્રમ આલેખવાનો રહ્યો છે તેમ જણાય છે, કે પછીના લેખમાં 'નાટક એક અંકનું'માં એકાંકી નાટ્યસ્વરૂપની શરૂઆત અને તેનો આરંભ કરનાર યશવંત પંડ્યા, બટુભાઈ ઉમરવાડિયા પૂર્વે પણ પારસી એકાંકી નાટકોથી એકાંકીનો આરંભ થયો છે એવી એકાંકીની પૂર્વપરંપરાની-સર્વસંમત વિગતો આપી તેના વિકાસના ત્રણ તબક્કાઓ પાડીને ઐતિહાસિક ક્રમમાં મૂકી આપે છે. પારસી એકાંકીઓ અને બટુભાઈ, યશવંત પંડ્યાથી તેનું પહેલું પ્રસ્થાન ઉમાશંકર, જયંતિ દલાલ, ચંદ્રવદન મહેતા પાસે પહોંચતાં બીજુંને ત્રીજું પ્રસ્થાન આધુનિક સંવેદના વ્યક્ત કરતા મધુ રાય, લાભશંકર ઠાકર, શ્રીકાંત શાહ, ચિનુ મોદી આદિનું છે. આ પ્રસ્થાનત્રયીની વિશ્લેષણાત્મક રીતે સમીક્ષા કરી છે. ત્રણેય તબક્કાઓનો વલાતગાહી અભ્યાસ તેમના આ લેખમાં જણાય છે. અલબત્ત, એકાંકીની તખ્તાલાયકી વિશે અહીં કોઈ સ્પષ્ટતા તે કરતા નથી. એકાંકી સ્વરૂપની દૃષ્ટિએ કેવી રીતે વિકસ્યું તેની વિગતે ચર્ચા કરી છે. સર્જકે સર્જકે અને સમયે સમયે નવા પ્રભાવ ઝીલી નવી સંવેદના પ્રગટાવતા આ સ્વરૂપ વિશે ઘણી આશા-અપેક્ષાઓ જીવતી રાખી છે.

'ગુજરાતી નાટકોનું ગદ્ય' ગદ્ય અને ભાષાનો ભેદ સ્પષ્ટ કરે છે. એલિયટને ટાંકીને કહે છે કે ભાષા કવિકર્મથી સંસ્કાર પામીને જ કલામાં સાહિત્યમાં ગદ્યમાં રૂપાંતરિત થાય છે.૧૯ નાટકોનું ગદ્ય એ લેખમાં ખરેખર તો તેમણે નાટકની ભાષાની જિકર કરી છે. 'નાટકની ભાષાએ વાસ્તવિકતા – સ્વાભાવિકતાની ભ્રાન્તિ ટકાવી રાખીનેય કલાત્મક બનવાનું છે.' એમ કહી નાટકની ભાષા ગદ્યને સમજવા જૂનાં નાટકોના ગદ્ય અને રંગભૂમિ પર ભજવાતાં નાટકોના ગદ્યની તુલનાત્મક દૃષ્ટિએ તપાસ કરે છે. નાટક એ કપરી કલા છે. નાટકને તો એક સાથે બે ભૂમિકા પર