પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વાતંત્ર્યોત્તર યુગનું નાટક વિશેનું વિવેચન ⬤ ૧૦૧
 

અગ્નિપુરાણનો આધાર લઈ કરે છે.

'નાટ્યાયન' તેમનો નાટક વિશેના અભ્યાસપૂર્ણ લેખોનો સંગ્રહ છે. અહીં નાટ્યસમીક્ષા નથી મળતી પરંતુ સિદ્ધાંતચર્ચા કરવાનો યત્ન છે. નાટકના ઉદ્દભવની કે મૂળની શોધ કરવાની તેમની સંશોધનદૃષ્ટિએ ઘણી દિશાઓ ખોલી આપી છે. 'એકાંકી : સ્વરૂપ અને વિકાસ' એ સંશોધનગ્રંથમાં એકાંકીનાં સ્વરૂપ અને લાક્ષણિકતા સાથે તેના વિકાસના તબક્કાઓનું આલેખન તેમણે કર્યું છે. તેમણે ગુજરાતીમાં નાટકો લખાવાં શરૂ થયાં તે પૂર્વે એકાંકી – 'એક અંકનું નાટક' અનુવાદ રૂપે આવી ગયું હતું તે શોધી કાઢ્યું હતું. બાળમિત્ર ભાગ ૧ અને રમાં ફ્રેંચમાંથી અંગ્રેજી-મરાઠીમાં થઈને ગજુરાતીમાં અનુવાદિત થયેલાં એકાંકીઓની નોંધ અને તેની સાથેની ગલત ધારણા આદિ વિશે સ્પષ્ટતા ડૉ. મતલાલ ભાવસારે કરી છે. એમના સંશોધનની દૃષ્ટિએ આ 'બાલમિત્ર' ભાગ ૧નું પ્રકાશન ૧૮૩૩માં પહેલવહેલું બાળબોધ લિપિમાં – શિલાછાપયંત્રમાં છપાયું હતું, ને તેના રૂપાંતરકાર શ્રી રણછોડદાસ હતા તેવી નોંધ તેમણે કરી છે. બાળમિત્ર ભાગ ૧ અને ૨નાં એક અંકી નાટકોનાં અવલોકન પરિચય મફતલાલ ભાવસારે કરાવ્યો છે. અલબત્ત, આ 'એક અંકનું નાટક' વિશે નર્મદે પણ જૂના ‘નર્મગદ્ય'માં બાળમિત્ર ભાગ ૧ અને ૨ની નોંધ આપીને ૧૮૫૬ની આસપાસ ચર્ચા કરી છે. મફતલાલ ભાવસાર 'બાળમિત્ર' ૧ અને ર માંના અનૂદિત લઘુનાટકોની સમીક્ષા કરે છે. સ્વરૂપ અને વિકાસની તેમની આ ચર્ચામાં મહત્ત્વની વાત એ છે કે ગુજરાતી સાહિત્યને સહુ પ્રથમ એકાંકીનો પરિચય રણછોડદાસ ગિરધરલાલે કરાવ્યો હતો સાથે તે પણ પ્રતિપાદિત કર્યું છે કે ગુજરાતી મૌલિક એકાંકી ૧૮૯૦થી આરંભાયું છે. એકાંકી સ્વરૂપના ચૌદ દશકાની નોંધ (૧૯૬પથી) તેમણે આપી છે. પારસીઓએ લખેલાં ફારસો અને એકાંકીઓની વિગતે નોંધ આ શોધપ્રબંધમાં થઈ છે. આરંભમાં તેમણે એકાંકીના સ્વરૂપવિશેષને સ્પષ્ટ કરી આપ્યું છે, તેની વિવિધ વિદ્વાનોએ આપેલી વ્યાખ્યા અને વિચારોનું સંકલન કરી એકાંકીના સ્વરૂપની સ્પષ્ટ ચર્ચા કરી છે. પરંતુ ગુજરાતી સમીક્ષકોએ જયંતિ દલાલ, નંદકુમાર પાઠક, ચુનિલાલ મડિયા, ઉમાશંકર જોશી, ગુલાબદાસ બ્રોકર અને પ્રા. એસ. આર. ભટ્ટ આદિએ એકાંકીની આપેલી વ્યાખ્યા સર્વગ્રાહી, સ્પષ્ટ અને સરલ નહીં જણાતી હોવાથી મફતલાલ ભાવસાર તે બધી વ્યાખ્યાઓનું વિશ્લેષણ કરતા નથી તેમ નોંધ્યા પછી પણ જે વ્યાખ્યા એ પોતે આપે છે તે ‘જયંતિ દલાલે' આપેલી વ્યાખ્યા જ શબ્દફેરે આપે છે. કોઈ એક ઘટના, પરિસ્થિતિ, યા વિષય (Theme)ને ઉત્કૃષ્ટ સંવાદિતા (Unity) તેમ જ મિતવ્યયિતા (Economy)થી નિરૂપતી અને સરસ્ફોટ પૂર્ણ થતી એકીકૃત અને સમવેત પ્રભાવ ઉત્પન્ન કરતી સમગ્રતામાં આસ્વાદાતી, એક યા અનેક દૃશ્યો -