પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

માને છે તેમ આ સંગ્રહનું દસ્તાવેજી મૂલ્ય અવશ્ય છે. બીજું ગુજરાતી રંગભૂમિનો તુલનાત્મક અભ્યાસ કરવા ઈચ્છતા અભ્યાસીઓ માટે પણ તે ખપનું છે. અલબત્ત, અહીં માત્ર અવલોકનો છે. મતા ગ્રહો, અભિગ્રહો, પક્ષપાત ગ્રસ્ત કેટલીક સમીક્ષાઓ છે, અભ્યાસીએ પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ અવશ્ય કરવો પડે નહીં તો ગુજરાતી રંગભૂમિ ઘણા અર્થમાં ગુણવત્તાની દૃષ્ટિએ વિકાસશીલ હોવા છતાં તેના ઉત્તમ કહી શકાય તેવા ગુણોને નજરઅંદાજ કરી બેસીએ.

આ ચારેય સંગ્રહમાંથી પસાર થતાં એક જે અનુભૂતિ થાય છે તે સમૃદ્ધિની છે. આટલાં બધાં નાટકોને એક પછી એક વાંચતા જઈએ છીએ ત્યારે આપણે વૈશ્વિક રંગભૂમિની સાથે અનુસંધાન કરતા હોઈએ તેમ લાગે છે. વિવિધભાષી, વિવિધ સંસ્કારોથી સમૃદ્ધ એવી વિવિધ રંગભૂમિનાં નાટકોની પ્રસ્તુતિ વિશે ઉત્પલ ભાયાણી અવલોકન-પરિચયના લેવલે વાત કરતા હોવા છતાં એક સમૃદ્ધ નાટ્યવિશ્વમાં આપણને વિહાર કરાવે છે. અહીં ગુજરાતી રંગભૂમિના કેટલાય કલાકારો, દિગ્દર્શકો, લેખકો જેવા કે પ્રવીણ જોષી, અરવિંદ જોષી, સરિતા જોષી, વિજય તેંડુલકર, શંભુમિત્ર, પીટરબ્રુક, માર્ટિન એસ્લીન.. આદિ અનેક વ્યક્તિવિશેષો, પ્રતિભાવિશેષ ને કૃતિવિશેષનો પરિચય મળે છે. અહીં બેઠાં બેઠાં જ બંગાળી મંચ કે મરાઠી રંગભૂમિના વૈવિધ્યસભર નાટ્યપ્રયોગોને માણી શકાય છે. બાદલ સરકારના સાવ જ વિશિષ્ટ નાટ્યપ્રયોગોથી આફિન થઈ જવાય, શંભુમિત્ર જેવા મહાન નરદિગ્દર્શક મળે છે.

'દૃશ્યફલક' અને 'પ્રેક્ષા'માં તેમની આરંભની સમીક્ષા છે. 'તર્જનીસંકેત' અને 'સંગભૂમિ'માં તેમનાં અવલોકનો પ્રૌઢિયુક્ત જણાય છે. આરંભનાં અવલોકનોમાંય તેમણે એ સભાનતા સાથે જ કામ કર્યું છે કે સમીક્ષા-અવલોકન અને વિવેચન અલગ બાબત છે. 'દૃશ્યફલક'ની પ્રસ્તાવનામાં તેમણે એ નોંધ્યુંય છે કે 'ભલે પશ્ચિમમાંથી આપણે ડ્રામા-ક્રિટીક શબ્દ તફડાવ્યો હોય, પરંતુ પાછલાં પૃષ્ઠોમાં જે કંઈ છે એને માટે 'વિવેચન' શબ્દ વાપરવાની ધૃષ્ટતા નહીં કરું. પરિચય, આસ્વાદ, અવલોકન કે સમીક્ષા કોઈ પણ વિકલ્પ પસંદ કરવાની છૂટ છે. સમીક્ષા કદાચ વધુ યોગ્ય છે.'૮૪તેઓ તેમના આ અવલોકન સંગ્રહને સમીક્ષાત્મક લેખસંગ્રહ કહેવા યોગ્ય માને છે. પ્રેક્ષા, તર્જની સંકેત કે સંગભૂમિને તેમણે 'નાટ્યસમીક્ષા'નાં પુસ્તકો રૂપે ઓળખાવ્યાં છે. નાટ્યવિવેચન તેમણે 'નાટકનો જીવ' 'નાટ્યવિહાર' અને 'સામાજિક નાટ્ય, એક નૂતન ઉન્મેખ : વિજય તેંડુલકર' દ્વારા કર્યું છે. વિવેચનના ક્ષેત્રમાં નાટક વિશે – ભજવાતા નાટક ને રંગભૂમિ વિશે સમીક્ષા તથા વિવેચન આટલી મોટી સંખ્યામાં કરનારા ઉત્પલ ભાયાણી જ છે. જોકે ઉત્પલ ભાયાણી નાટકના સ્વરૂપ આદિ બાબતોની ચર્ચા કરતા નથી. સિદ્ધાંતની ચિંતા પણ