પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[11]


ચાર મહિનાથી મગજને ખોતરી રહેલું ભેટપુસ્તક [‘ગુજરાતનો જય'] લગભગ પૂરું કર્યું. લખવાનું તો દોઢ જ મહિનો ચાલ્યું પણ તેની પૂર્વેનું મનોમંથન લોહી પી ગયું. આ પુસ્તકમાં તો એક જ ખંડ પૂરો થાય છે. એ 'એપિક'નો ખરો રંગ તો બીજા ખંડમાં આવશે. 'ફૂલછાબ'ના ગ્રાહકોને એક વર્ષ સુધી બીજા ખંડની રાહ ન જોવી પડે તે માટે બેએક મહિના પછી ચાલુ વાર્તા તરીકે જ એને આપવા માંડીશ.

[ઉમાશંકર જોશી પરના પત્રમાં : 25-4-'40]
 

રાત્રે મારે ત્યાં વાળુ કરી અમે વાતોએ ચડ્યા. મોડી રાતે સૂતા. રાતનો એક-દોઢ થયો હશે. હું અચાનક જાગી ગયો. મારી નજર ભાઈ મેઘાણીના ખાટલા તરફ ગઈ. એમના જમણા પગનો અંગૂઠો જાણે હલ્યા કરતો હોય તેવું જણાયું. મને બીક લાગી. અંગૂઠો સતત હલી રહ્યો છે એ ચિલ કોઈ વ્યાધિનું તો નહીં હોય? હું બેઠો થયો અને હલતા અંગૂઠાને જોઈ રહ્યો.

“પડખું એમ ને એમ રાખીને એમણે અચાનક કહ્યું, ;ભાઈ, હમ્મીરમદમર્દન તમે જોયું છે કે આપણે વસ્તુપાલને આવી રીતે મૂકીએ...' એમ બોલીને એમણે વાર્તાની એક-બે કડી સાંધીને બતાવી. હું તો સડક થઈ ગયો. રાતે દોઢ વાગ્યે એમના મનમાં 'ગુજરાતનો જય'ની એક આખી ભૂતાવળ રમી રહી હતી અને અંગૂઠો તો માત્ર તાલ દઈ રહ્યો હતો.”

[ધૂમકેતુ લિખિત સંસ્મરણ]