પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[10]


લવણપ્રસાદને વિષ દઈ માર્યાની હકીકતને મુનિશ્રી સંપાદિત 'પુરાતન પ્રબંધ'નો આધાર છે. 'પ્રબંધકોશ' તો એમને વીસળદેવની વારીમાં જીવતા હોવાનું જણાવે છે.

તેજપાલને અનુપમા ઉપરાંત સુહડા નામે પણ બીજી સ્ત્રી હતી, એવું 'આબુ' નામના ગ્રંથના બીજા ભાગમાં તેના કર્તા મુનિશ્રી જયંતવિજયજીએ આપેલા પ્રાચીન લેખો, પ્રશસ્તિઓ અને આંબામાંથી સાંપડે છે.

આ આબુ પર અનુપમાએ રચાવેલો 'લૂણાવસહી'નો નેમિનાથપ્રાસાદ બધા જ પ્રબંધોના જણાવ્યા મુજબ નાનપણમાં મૂએલા ભાઈ ભૂણિગના શ્રેયાર્થે બંધાયો છે. પણ મુનિશ્રી જયંતવિજયજીએ મંદિરમાં કોતરાયેલો મૂળ પ્રશસ્તિ-લેખ ટાંકીને ઉપલા ગ્રંથમાં પ્રતીતિ કરાવી છે કે એ તો લૂણસી નામે તેજપાલના પુત્રના શ્રેયાર્થે બંધાયો છે.

ગુજરાત સાથેની મૈત્રીનો કોલ વસ્તુપાલને આપનાર દિલ્હીનો મોજુદ્દીન (સુલતાન) શ્રી ભોગીલાલ સાંડેસરાના અભિપ્રાય મુજબ અલ્તમશ હોવો જોઈએ.

ઝવેરચંદ મેઘાણી
 
*

મેં વસ્તુપાલ-તેજપાલ સંબંધીના ત્રણ પ્રબંધો 'પ્રબંધ-કોશ'માંથી, 'પુરાતન પ્રબંધ'માંથી તેમ જ 'પ્રબંધચિંતામણી'માંથી વાંચી કાઢ્યા. બબે વાર વાંચ્યા, અને વધુ વધુ વિશદ બન્યું. સંસ્કૃત પણ બરાબર બેસી ગયું. હવે એ બધી સામગ્રીમાં કલ્પનાનો દોર કેવી રીતે પરોવવો તે જ વિચારવાનું રહે છે.

[ઉમાશંકર જોશી પરના પત્રમાં: 14-1-'40]
 

હું એક અઠવાડિયા પછી અહીંથી બારોબાર ખટારાથી ખંભાત વાર્તાના ઘટનાસ્થળો જોવા જવા માગું છું. ત્યાં કોઈને ઓળખતો નથી. તો રસિકભાઈ પરીખને પૂછી મને ત્યાં માર્ગદર્શક બને એવા કોઈ ભાઈ ઉપર કાગળ લખાવી મને ખબર દેશો? હું ઊતરીશ તો ગમે ત્યાં, ફક્ત મને ખંડેર બતાવનારની જરૂર.

ઉમાશંકર જોશી પરના પત્રમાં: 25-1-'40