પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
136
ગુજરાતનો જય
 

ભયાનકતાનું ભાન આવ્યું. તેટલામાં તો એના દેહના અવયવો ખોટા પડ્યા. એણે બૂમો પાડી, મંત્રી એની પાસે આવ્યા, હસ્યા, પૂછ્યું: “કાં જનાબ ! કેમ મારી અત્યારે જરૂર પડી?”

“આ શું થઈ રહેલ છે, મંત્રીજી?” એ માંડ માંડ પૂછી શક્યો.

“ચંપી. આપને તો શેઠ, ચંપી બહુ પ્યારી છે, ખરું !” મંત્રીએ કહ્યું.

“મને મારી નાખવાનો નથી એવો કોલ દઈને આ કર્યું?”

“તને મારી નથી નાખતો હું. મારો કોલ મેં પાળ્યો છે. તું ઝાઝાં વરસનું જીવન ભોગવ એવી ખુદા પાસે મારી બંદગી છે.”

“પણ મારું બદન જીવતે મરેલું બનાવ્યુંને?”

"બાપ ! તેં તો આખી ગુજરાતને જીવતે મૂએલી બનાવી છે, તેનો બદલો તો હું ગરીબ બીજી કઈ રીતે વાળી શકું? વળી તારી પાસે તો શક્તિવર્ધનની ઊંચી ઊંચી દવાઓ છે. ખાજે ને સાજો થજે.”

“હવે તો હું સાજો થઈ રહ્યો.”

“સમજી શકાય છેને? બસ ત્યારે. જાઓ શેઠજી, જીવતા રહો.”

"આવી દગલબાજી?”

“એનો જવાબ હું માલિકના દરબારમાં દેવા ખડો થાઉં ત્યારે સાંભળજે, ભાઈ. આજ તો એ 'દગલબાજી' શબ્દ જ તારા મોંની નારકી દુર્ગંધથી ભ્રષ્ટ થાય છે.”

“મને મારે ઘેર પહોંચાડો.”

"તારું ઘરબાર હવે અહીં રહ્યું નથી. તારા માણસો કેદ છે, ને તારાં સગાંને વહાણમાં બેસાડી વિદેશ રવાના કરી દીધાં છે. હમણાં જ વહાણ રવાના થઈ ગયું.”

"મારી દોલત? માલમિલકત?”

“રાજમાં જમા કરાવવા માટે એની ટીપ તૈયાર થાય છે. તું મૂંઝાઈશ મા. તારા ઉપર રાજ વધુ લેણું નહીં કાઢે. જાઓ,” મંત્રીએ મલ્લોને કહ્યું, “એને ઉપાડી ગામની બજારમાં બરાબર માણેકચોકમાં મૂકી આવો. લોકો એને રોટીના ટુકડા દેશે તો એ ખાશે. એને કોઈ પણ વહાણવટી જો વહાણમાં લે તો વહાણને આગ લગાવી દેજો.”

પાંત્રીસ વર્ષોની ગુજરાતદ્રોહી જિંદગીનો એ અંજામ આવ્યો. ઘણા દિવસ સુધી સદીકને જન્મખોડ જેવી અપંગ હાલત ભોગવતો ખંભાતની પ્રજાએ જોયો. શહેરની બજારમાં જ શરીર ઢરડી ઢરડીને એની જિંદગી ખતમ થઈ.