પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
176
ગુજરાતનો જય
 


એ છોકરો રાણક વિરધવલનો પાટવી રાજપુત્ર વીરમદેવ હતો. આ ઉત્સવમાં વીરમદેવ એક બસુરો તાર હતો.

“જુઓ, કંઈક બોલાશે હમણાં. સાંભળો હવે.” એમ કહીને વસ્તુપાલે વીરમદેવને ધીરેથી ચમકાવ્યો. વીરમદેવે અનિચ્છાએ પણ 'હા જી' કહ્યું અને સન્મુખ નજર ચોંટાડી.

પેલા યોદ્ધાએ કાષ્ઠપિંજર પાસે જઈ, વિચિત્રવેશધારી કેદીને કહ્યું: “ગોધ્રકના ઘુઘૂલરાજ ! મહીના કોતરોના કેસરીસિંહ ! મુજરો કરો. જે સાડી ને કાજળ તમે અમારા રાણાને મોકલ્યાં હતાં તેના પ્રિય શણગારે હવે તમે જ ધોળકાના અંતઃપુરને શોભાવો.”

"મને ઠાર મારો." પિંજરવાસી બોલ્યો.

"હજુ શી ઉતાવળ છે? થોડો વધુ રાણીવાસ મહાલી લોને!”

પછી સેનાપતિએ રાણા પાસે જઈ કંઈક વાત કરી, ચારેય જણા વચ્ચે હળવી મંત્રણા થઈ.

“બહુ થશે!” રાણાના મોં પર અકળામણ હતી.

"બાકી શીદ રાખવું? કોણ ગુજરાતની દયા ખાવાનું હતું? ભલેને દુશમનો દાંત કરડે!” વસ્તુપાલે સ્મિત કરતે કરતે કહ્યું, “બોલો દેવ ! શાસ્ત્રો શું કહે છે?” એણે સોમેશ્વરને પૂછ્યું. શાસ્ત્રો જેને કંઠસ્થ હતાં એવા રાજગુરુએ શત્રુ સાથેના વર્તાવ વર્ણવતો એક શ્લોક બબડીને સંમતિ આપી.

તે પછી રીતસર રાજસવારીની રચના કરીને આખી મેદનીએ નગરમાં પ્રવેશ કર્યો. મોખરે કાષ્ઠપિંજરવાળું શકટ હંકારીને નગરના રાજમાર્ગ પર સવારી ગાજતેવાજતે ચાલી અને ચૌટે ચૌટે સવારીને ઊભી રાખી એ અફાટ લોકમેદનીને - રાજયોદ્ધો સંભળાવતો ગયોઃ

"ગુર્જરો! આ ગોધ્રકપુરના ઘુઘૂલરાજ છે. એક વાર એ ગુર્જરપતિના મંડળિક હતા. પોલું ભાળીને એ સ્વતંત્ર બન્યા. એની ક્ષાત્રવટ ગુજરાતને સુદ્રઢ બનાવવાને બદલે છિન્નભિન્ન કરવાને શત્રુઓના હાથમાં રમી ગઈ. એણે ક્ષત્રિય છતાં ડાકુના ધંધા આદર્યા. એણે દેશાવરથી આવતી વણજારોને મહીકાંઠે વિનાકારણે નાકાબંધી કરીને રોકી રાખી. અને એને મોટા રાણા લવણપ્રસાદે ઉપરાઉપરી કાકલૂદીઓ મોકલી કે રાજ, મોરલાની કળામાં પીછું બનીને જ આપણે શોભી શકીએ, ગુર્જરદેશના કલાપિંચ્છ બની રહો. એના જવાબમાં મોટા રાણાને આ ઘુઘૂલરાજે એક સાડીને એક કાજળની દાબડી મોકલીને કહેવરાવ્યું કે તમે પણ મારા અંતપુરમાં મેં બૈરીઓ બનાવીને બેસારેલા રાજવીઓનો સંગાથ કરવા આવો, મુજરો કરો ! યાદ