પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
17
સાધુની ચેતવણી

નું રુદન થંભ્યું તે ક્ષણે જ મંદિરને દ્વારે લોકોનો ગુંજારવ થયો. મેદની વચ્ચે કેડી પડી. તપેલાં કાંચનની ઝાંય પાડતું, પાતળું, પચાસેક વર્ષનું શુભ્રવસ્ત્રધારી સાધુશરીર, પચાસ નાનામોટા શિષ્યો સહિત દાખલ થયું. એના ઊંચા પાતળા શરીરમાં જેનો સંભવ ન ગણી શકાય તેવા ગરવા કંઠે એણે 'ધર્મલાભ! ધર્મલાભ' એવા શબ્દ બોલી સૌના નમસ્કાર ઝીલ્યા. ને એની પાછળ પાછળ જનરવ જાગ્યોઃ 'મહારાજશ્રી વિજયસેનસૂરિ આવી પહોંચ્યા.'

માતાની મૂર્તિ તરફ તાકીને રડતા રહેલા વસ્તુપાલે મૂર્તિની બાજુએ ગુરુ વિજયસેનસૂરિને દીઠા, એની ધ્રુસકતી છાતી ધીરી પડી.

વિજયસેનસૂરિએ પણ કુમારદેવીની પ્રતિમા સામે ગંભીર નૈનો માંડ્યાં. એનું મુખ મલકાઈ રહ્યું અને પ્રતિમાની બીજી બાજુ ઊભેલા યુવાન સલાટ શોભનદેવને પહેલવહેલો જોઈને એના મોંમાંથી જૂની કોઈ પિછાનનો ઉદ્ગાર નીકળી પડ્યોઃ "તમે આંહીં !"

શિલ્પી શોભનદેવ, જેણે આ સૂરિને પહેલી જ વાર જોયા. તે સૂરિનો સવાલ સમજી શક્યો નહીં, તેણે જવાબ વાળ્યોઃ “જી, હું સલાટ છું." એ સવાલ-જવાબ ધીમા અવાજે થઈ ગયા.

વિજયસેનસૂરિની પાતળી હેમવરણી કાયાનો કોઈ અદ્રશ્ય પ્રભાવ એ મેદની પર પથરાઈ રહ્યો. એનો હાથ ઊંચો થયે સૌ આરસની ફરસબંધી પર બેસી ગયા, ને સૂરિએ પણ રજોહરણ ફેરવીને ફરસબંધી પર નાનું પાથરણું બિછાવી બેઠક લીધી. સામે વસ્તુપાલ બેઠો. એનું મોં હજુ ભીનું હતું. એ નીચું જોઈને જ બેઠો.

“શું કારણ બન્યું, મંત્રીજી?” વિજયસેનસૂરિએ ધીમેથી પૂછ્યું, “હર્ષને સ્થાને વિષાદ શા માટે ? પ્રતિસ્પર્ધી પૃથ્વીપાલોના હણનારા અને સ્વજનોના સ્નેહમાં નીતરતા અમારા વસ્તુપાલ જેવા રાજનીતિજ્ઞને આજે શાની ઓછપ સાલી?”

વસ્તુપાલે લજ્જિત બની નીચે જોયું. એની પાંપણો ભોંય ખોતરવા લાગી. એણે આંખો લૂછતાં લૂછતાં કહ્યું: “આજે મારી માતા હોત તો તેને સ્વહસ્તે અહીં