નહીં.”
"ભાવી ! તારી ઝીણી ઝીણી વાતો તો મારી ખોપરીમાં ઊતરતી નથી. ટૂંકમાં કહું છું કે મારા જેવો આપનારો નહીં મળે.”
"ના પાડનારાય ક્યાં મળે છે, બાપુ” વસ્તુપાલે વ્યંગ કર્યો, “તમારે મને ખરેખર તેડાવવો હશે ત્યારે આવીશ.”
"ખરો શું ને ખોટો શું ?”
“એક મ્યાનમાં બે તલવાર હોય ત્યાં સુધી ખોટો.”
“મ્યાન કોણ ને બે તલવાર કોણ ?”
“મ્યાન આપ, ને બે તલવાર એટલે એક હું ને બીજા કુંવર વીરમદેવ.”
સાંભળીને લવણપ્રસાદ ખસિયાણા પડ્યા. કેટલોય પંથ કંઈ બોલ્યા વગર કાપી નાખ્યો. વસ્તુપાલે લાગ જોઈ ઘા કર્યો: “બાપુ, આપને લાગે છે કે હું કઠોર છું ?”
"ના, મને લાગે છે કે તું કૃપણ છે. વીરમદેવ તારો વડિયો નથી. વીરમ તો તારી પાસે સંઘમાં આવવાનું મન કરતો'તો.”
“એ તો આવીયે ગયા, પોતાનો પરચો બતાવી પણ ગયા.”
“શું, કંઈ થયું છે ?”
"હા બાપુ, સંઘમાંથી પાછી વળતી એક સ્ત્રીને પોતે અધવચ્ચેથી ઉપાડી ગયા છે.”
“ક્યાંથી ?”
“ભાલને એક ગામડેથી.”
"કોણ હતી ?"
"એ અત્યારે કહેવા જેવું નથી. વખત આવ્યે કહીશ"
“વીરમ ઉપાડી ગયો ? તને પાકી ખાતરી છે ?"
“આપણા રખેવાળોને કેફ કરાવી, બાંધી, મોંમાં ધૂળ નાખીને લઈ ગયા."
સૈન્યનાયકની છાતી પર અક્ષરો પણ લખેલા મળ્યા કે “હું વીરમદેવ. કહેજો વસ્તુપાલને.”
ડાહ્યો વસ્તુપાલ પેલા નાલાયક સૈન્યનાયકે પોતાના બચાવ અર્થે કરેલી કૂડી કરામતથી છેતરાયો હતો. વીરમદેવનું નામ જ મંત્રીના મનમાં શંકાનું ઝેર ભરવા માટે બસ બન્યું હતું.
"કહો, બાપુ !” લવણપ્રસાદની કોમળ લાગણીઓ પર મંત્રી અણછાજતી ઈમારત ચણવા લાગ્યા: "આપને પાટણ માટે મંત્રી જોઈએ છે, કે ગાદીના વારસા