જુએ તો ગુલાબસિંહ ! રમા તરફ સ્નેહની દૃષ્ટિથી ‘તું સારું કરે છે’ એમ
નરમાશની નજરે જોઈને જરા હસ્યો. છતાં પણ એજ ક્ષણે, જેવો ગુલાબસિંહ
પેલી ક્ષીણ થતી બાલાના કરમાયલા મુખ તરફ નમીને જોવા લાગ્યો કે તુરતજ
રમાના મનમાં એમ થયું કે રખે ને આ વિલક્ષણ માણસમાં કોઈ મેલી
સાધના તો નહિ હોય ! પણ એમ થતાની સાથેજ વિચાર બંધ પડી ગયો—
ગુલાબસિંહની કાળી વિશાલ આંખ એના આત્માને પી જતી હોય તેમ એની
તરફ ગઈ; એને આવા વિચાર માટે ઠપકો દેવાયો !
“ફીકર નહિ કાકા !” પેલા ડોસા તરફ વળીને ગુલાબસિંહે કહ્યું “હજી વાત હાથેથી ગઈ નથી.” એમ કહેતાંજ પોતાના ખીસામાંથી એક નાની શીશી કાઢી, થોડાં ટીપાં પાણીના પ્યાલામાં નાંખી પાણી પાઈ દીધું. બાલકના હોઠ આ દવાથી ભીના થતાંજ, અસર કાંઈક વિલક્ષણ થઈ. હોઠ અને ગાલ ઉપર તેજ પાછું આવવા લાગ્યું અને થોડીવારમાં દર્દીને ગસગસાટ ઊંઘ આવી ગઈ. આમ થયા પછી ડોસો ઉઠ્યો, પોતાના દેવસેવાના મંદિરમાં ગયો અને રામ સીતાની મૂર્તિ આગળ જઈને નીરાંતે કાલાવાલા કરવા લાગ્યો. આ માણસના હોઠ બહાર આજ સુધી ઈશ્વરનું નામ નીકળ્યું ન હતું, દુઃખનો એવો કોઈ સપાટો તેને લાગ્યો ન હતો કે રામ સાંભરે; છેલી વીશીમાં છતાં પણ એણે કોઈ દિવસ મોત વિષે ઘરડાં કરે છે તેવો વિચાર કર્યો ન હતો; પણ આજ એના વિચાર અને એનો આત્મા ઉભય, આ કુમળા બાલકના કરમાઈ જવાના પ્રસંગમાંથી જાગ્રત્ થયાં ! ગુલાબસિંહે વૃદ્ધ ગૃહિણીના કાનમાં કાંઈ કહ્યું એટલે ડોશી ડોસાને લેઈને ઓરડાની બહાર ગઈ.
“રમા ! તારા આ દર્દીની સાથે મને એકલો એક ક્ષણવાર તું નહિ રહેવા દે ? તને કાંઈ શંકા છે ? તને એમ લાગે છે કે આ કામ હું કોઈ મેલી વિદ્યાથી કરૂં છું ને તેથી આ બાલકને જણાતો લાભ છતાં, ખરો લાભ થનાર નથી એમ તું માને છે ?
રમા, મનમાં પરાજય પામતાં છતાં પણ, આનંદથી બોલી “મને ક્ષમા કરે સાહેબ ? ક્ષમા કરો; તમે જવાનને જીવ આપો છો, ઘરડાંને મોક્ષનો રસ્તો બતાવોછો. તમારા વિષે એવો ખોટો તર્ક હું કદાપિ પણ નહિ કરૂં.”
મધ્યાન્હ પહેલાં તો પેલી માંદી બાલા, હતી તેવી આનંદીને આરોગ્ય