ત્યારે શું જે સ્થાનમાં મહાત્માની શક્તિએ અનેક ચમત્કારો સાધેલા
તે સ્થાનમાં અત્યારે તેણે કશું પોતાનું સત્ત્વ રહેવા દીધું નથી ? કાંઈક છે,
એમ લાગે છે; કેમકે રમા ત્યાં ક્ષણવાર ઉભી રહી એટલામાંજ તેને પોતાનામાં
કાંઈક ગૂઢ પરિવર્ત થતો સમજાયો. રુધિર વધારે ત્વરાથી ફરવા લાગ્યું
અને આખા શરીરમાં આનંદના ઉર્મિનો વેગ વધતો વધતો, જાણે પોતાને અંગેથી
જડેલી બેડીઓ તૂટી પડતી હોય તેવા પરમ સ્વાતંત્ર્યના સુખનો એને સાક્ષાત્
અનુભવ થવા લાગ્યો. એને જે ભ્રમ થયો હતો તેમાં અનુભવાયલા વિવિધ
ક્લેશમય તર્ક વિદૂર થઈ જઈ, તે ભ્રમને સ્થાને પોતાના પ્રિયતમને મળવાનું,
પોતાના પ્રિયતમની પાસે જવાનું, ઉગ્ર ભાન પ્રદીપ્ત થયું. હવામાં જે પરમાણુસમૂહ
વ્યાપેલો છે તે બધે જાણે કોઈ દિવ્ય આકર્ષણથી પ્રપૂર્ણ હોય એમ
લાગવા માંડ્યું, અને જાણે હવણાંજ અંતરાત્મા શરીરથી છૂટો પડશે, અને
મનોવાંછિત સાધશે, એમ રમાને અનુભવ થતો ચાલ્યો. એકાએક ભાન ઓછું
થતું જાય છે એમ એને લાગવા માંડ્યું, અને ખૂણામાં જ્યાં એક પાટલા
ઉપર પેલાં વનસ્પતિ આદિ પડ્યાં હતાં ત્યાંજ તે બેશી ગઈ. જેવી બેસવા
માટે નીચી નમી તેવામાં જ એક કાંસ્યપાત્રમાં નાની શીશી હતી તે આંખે
પડી. યંત્રવત્ પ્રેરણામાત્રથીજ, કાંઈ પણ ઈચ્છા વિના, રમાએ શીશી હાથમાં
લીધી, દાટો ઉઘાડ્યો; તુરતજ અંદરનો રસ ઉભરાઈ ઉઠ્યો અને આખા ઓરડામાં
આનંદકારક સુગંધ છવાઈ ગયો. રમાએ તે સુગંધથી ઘ્રાણેન્દ્રિયને રમાડવા
માંડી, પેલા રસથી પોતાના બળતા લમણાને ટાઢા પાડવા લેપ કર્યો. આમ
થતાની સાથે પેલી જે શૂન્યતા થવા માંડી હતી તે ઉડી ગઈ અને જાણે પોતાને
પાંખો આવી હોય ને આકાશમાં ઉડતી હોય, તેમ રમાને લાગ્યું.
રમાની દષ્ટિમર્યાદામાંથી ઓરડો જતો રહ્યો. પૃથ્વી, નદી, દેશ, પર્વત, વન, સર્વ ઉપર થઇને, મૂલથી જાગ્રત્ થયેલા ઉગ્ર સંકલ્પબલને આધીન થઈ આ રીતે સ્વતંત્ર થયેલો જીવ દોડતો ચાલ્યો. આ સૃષ્ટિનું નહિ એવું કોઈ આવરણ રમાને પ્રત્યક્ષ થયું; ત્યાં શાસ્ત્રજ્ઞ માહાત્માઓની છાયાનાં એને દર્શન થતાં ચાલ્યાં; આ સ્થૂલસૃષ્ટિનાં રૂપમાત્રની-તન્માત્રા જેવી છાયાઓ, કશો પ્રતિરોધ ન કરી શકે તેવાં પણ આકારવાન્ ચિત્ર, એને જણાવા લાગ્યાં. એનાં એજ પરમાણુમય ચિત્રો પરસ્પરમાં ઓતપ્રોત થઈ આ સૃષ્ટિનાં ગ્રહોપગ્રહાદિને પોષે છે, નવી સૃષ્ટિઓ રચતાં જાય ને આ સૂક્ષ્મ પદાર્થ, સ્થૂલ થઇ જડ જગત્ વિસ્તારે છે, એમ પણ પ્રત્યક્ષ સમજાવા લાગ્યું. આવા અમિત્ અને શાન્ત આવરણના પડદા ઉપર, રમા એવી સ્થૂલ સંજ્ઞા ધરાવતા જીવે ગુલાબસિંહની