પૃષ્ઠ:Gulabsinh.pdf/૩૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૮
ગુલાબસિંહ.

એને મારી ઇર્ષ્યા નથી-જો કે હું પણ એક વાર તારો પરમ ભક્ત હતો. પણ તે વાતની હવે વિમાસણ શા કામની?”

“ ત્યારે તમારા ભાઈ ઘરમાંથી બહાર ગયા છે ! ક્યાં ગયા છે? કેમ ? શા માટે અચકાઓ છો? બોલો, ખરી વાત કહી દો, મારા સમ કહી દો.”

“ તને શાની ભીતિ છે ?”

“હા, મને ભીતિ છે;” એટલું કહીને ઉંડો નીસાસો મૂકી જ્યાં બેઠી હતી ત્યાં ખૂણામાંજ સમાઈ ગઈ.

થોડાક સમય પછી, પોતાના મુખ ઉપર આવેલા અલકને દૂર કરી તે ઉભી થઈ અને આમ તેમ ફરવા લાગી. છેવટ બંદાના સામે આવીને ઉભી, એનો હાથ પકડીને એક ખૂણામાં લેઈ ગઈ, ત્યાં એક પથરો ખશેડી નાખી અંદર ભરેલા સૂવર્ણભંડારને બતાવી, “તું ગરીબ છે-તને દ્રવ્યનો લોભ છે. તારે જે જોઈએ તે લે, પણ મને ખરી વાત કહે. જેની પાસે તારા ભાઈ જાય છે તે સ્ત્રી કોણ છે?--એના ઉપર એમનો પ્રેમ છે?”

સુવર્ણના રાશિ ઉપર જોતાં બંદાની આંખો પહોળી થઈ ગઈ, ને હાથની મૂઠીઓ વળવા માંડી. પણ જેમ તેમ કરી લોભને દબાવી, બહુ ખેદથી બોલતો હોય તેમ બોલ્યો “તું શું મને લાંચ આપવી ધારે છે? આપવી હોય તો સુવર્ણની નહિ. કદાપિ તારો પ્રિયતમ બીજી ઉપર પ્રેમ રાખતો હોય તો પણ શું? તને ફસાવે તો પણ શું? તારી ઈષ્યાલુ પ્રકૃતિથી કંટાળીને, નાશી જતી વખતે, તને સાથે ન લે તો પણ શું?–એવી વાત જાણવાથી તેને કાંઈ ફાયદો છે?"

“ છે.” હિમાલયની ગોપિકાએ પૂર્ણ ક્રોધના આવેગથી કહ્યું “ફાયદો છે; કેમકે દ્વેષ રાખી દ્રેષનો બદલો વાળવામાં ફાયદો- સુખ-છે; તને ખબર નથી કે જે ખરા પ્રેમથી બંધાયલાં છે તેમનો પ્રેમ જ્યારે દ્રેષનું રૂપ લે છે ત્યારે તેમાં તેમને કેટલો આનંદ આવે છે."

"ત્યારે જો, તું એમ ખાતરી કરી આપે છે કે હું તને ખરેખરી વાત જણાવું તો તું મને ફસાવશે નહિ. ? તારો દગાખોર પતિ આવે એટલે બૈરાંની જાતના સ્વભાવ પ્રમાણે આંસુ ઢાળતી તું તેને વઢવા ને ગાળો દેવા ને મહેણાં મારવા તો તૈયાર નહિ થાય?”

"આંસુ--મહેણાં! કાઈંજ નહિ--હાડ ભાગવાનું તો હસતે હસતેજ થાય છે.”