પૃષ્ઠ:Gulabsinh.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
ગુલાબસિંહ.

“એમ હોય તો હંમેશ ભિન્નભિન્ન દેશના લોકોમાં પણ આ બનાવનો કાંઇક વેહેમ ભરેલો ખુલાસો શા માટે ઉત્પન્ન થઈ આવ્યો હશે ? સર્વેએ આપણા સ્થૂલ શરીર સાથે આપણી દૃષ્ટિએ નથી પડતાં તેવાં પ્રાણીનો સંબંધ શા પરથી કલ્પ્યો હશે ? હું તો એમ ધારું છું કે ”—

લાલાએ બહુ આતુરતાથી વચમાં કહ્યું “હાં ભાઈ શું ધારો છો ! બોલો !”

“એમ ધારું છું કે એમ બને છે તેવામાં તો આપણી પ્રકૃતિમાંનો સત્ત્વાંશ, જે કાંઈ અદ્રશ્ય પણ આપણને પ્રતિકુલ છે, તથા જેનું દર્શન આપણી ઇન્દ્રિયોની અપૂર્ણતાને લીધે સારા ભાગ્યે થઈ શકતું નથી, તેથી ઢંકાઈ જઇ મલિન થઈ જતાં, તામસી સત્ત્વોના પ્રભાવથી અંગ કંપે છે.”

“ત્યારે તો તમે ભૂતપ્રેતના વેહેમમાં ફસાયલા જણાઓ છો.” રામલાલે કહ્યું.

“નહિ નહિ, ભૂતપ્રેતની હું વાત કરતો નથી, પણ જેમ આ હવામાં કે પેલા ફુવારામાં ઉડી રહેલું છે તે જલમાં, આપણી દૃષ્ટિએ ન ચઢે તેવા અગણિત જીવ છે, તેમ તેવાંજ અદૃશ્ય પણ પ્રકૃતિમાંથીજ ઉત્પન્ન થયેલાં બીજાં સ્થૂલ સૂક્ષ્મ શરીર પણ કેમ ન હોય ? જલના સૂક્ષ્મ બિન્દુમાં પણ પોતાથી નાનાં જંતુને ખાઉંખાઉં કરી રહેલો જે રાક્ષસ રહી શકે છે તેનો ક્રોધ કે તેની ક્રૂરતા પ્રત્યક્ષ જણાતા વાઘ કે સિંહની ક્રૂરતા કરતાં ઓછાં સમજવા નહિ. એવા પણ કરોડો પદાર્થ હશે કે જેમની સત્તામાત્રજ માણસને હાનિકારક હશે, છતાં આપણાં અને તેમના બંધારણમાં ફેરફાર રાખી ઈશ્વરે અન્યોન્યની વચ્ચે પડદો રાખ્યો છે એજ ઠીક કર્યું છે.”

“ત્યારે શું” લાલાએ વચમાં પ્રશ્ન કર્યો “તમે એમ ધારોછો કે આ પડદો કદાપિ પણ ખશેડી ન શકાય તેવો છે ? ને એમ હોય તો જાદુગર અને માંત્રિકોની વાતો બધી ગાંધર્વનગરમાત્રજ છે ?”

“એમ હોય અથવા નએ હોય; તથાપિ આ જમાનામાં જ્યાં બુદ્ધિ સર્વશિરોમણિ થઈ બેઠી છે, ત્યાં એવો બેવકૂફ કોણ હોય કે જે પોતાની અને એવા મહા ભયંકર અજગર તથા સિંહની વચ્ચે આવેલા પડદાને ખશેડવા તત્પર થાય ? જે નિયમથી વિકરાલ મગર અને મચ્છ સમુદ્રમાંજ પૂરાઈ રહે છે તે નિયમને ઉલટાવવાની મરજી કોણ કરે ? એવી ગપસપમાં કાંઈ માલ નહિ.”

આમ કહેતાંજ પેલો અજાણ્યો ગ્રહસ્થ ઉઠ્યો અને સર્વને રામરામ