પુલક્તિ થઈ હસતી પણ હતી. એક રાજકુંવર બીજી રાજકન્યા સાથે પરણે એ તેની વાર્તામાં આવતું, પરંતુ તે શા માટે પરણે, કયા બળથી પ્રેરાઈને પરણે, એ બધું સમજવાની અરુંધતીને બાલ્યાવસ્થામાં જરૂર લાગી નહિ. શબ્દો તેને કાને પડતા અને તે દૃઢ થતા, પરંતુ એ શબ્દની પાછળ રહેલી બધી જ ભાવના તેને ભાગ્યે સમજાતી. પિતાને માટે તો તેને એટલી જ ખબર પડી કે તેને અગ્નિદેવે ઉપજાવી હતી અને અગ્નિદેવે મેઘાતોથિની માગણી પ્રમાણે તેને આપી હતી. જન્મ-પુનર્જન્મની વાર્તાવલી ઊકલતાં તે પિતાને પૂછતી :
‘પિતાજી ! પૂર્વજન્મે હું કોણ હતી ?’
મેધાતિથિ ઉત્તર આપતા :
‘દીકરી! તું પૂર્વજન્મે બ્રાહ્મણની પુત્રી હતી.’
જગતના સર્જક બ્રહ્માનાં જ બધાં પુત્ર અને પુત્રીઓ ગણાય ને? જેનાં માબાપ ન જડે એનાં માબાપ બ્રહ્મા !
‘મારું નામ પૂર્વજન્મે શું હશે?’ અરુંધતી પૂછતી.
‘તારું નામ... સંધ્યા હોવું જોઈએ. અરે, સંધ્યા જ હતું.’ મેધાતિથિ કહેતા.
ન પરખાતી કોઈ પણ વસ્તુનું નામ સંધ્યા કે નિશા પાડવામાં જરા પણ હરકત ન હોવી જોઈએ !
આમ તેને પૂર્વજન્મનો એક ટુકડો તો મળ્યો. સાથે સાથે પૂર્વજન્મે જે વરદાન પામી હતી તે પણ આ જન્મે સફળ થયું. એની બાલ્યાવસ્થામાં કામે પ્રવેશ કર્યો જ ન હતો. જોકે એ વરદાન એને યાદ આવ્યું એની યુવાવસ્થામાં.
આમ અરુંધતીના ઉછેરનાં પાંચ વર્ષ વીતી ગયાં એટલે મેઘાતિથિને એના વ્યવસ્થિત અભ્યાસની ચિંતા થઈ. પ્રાચીન કાળઅભ્યાસની દૃષ્ટિએ સ્ત્રી-પુરુષોના ભેદ સ્વીકારતો નહિ. જેમ છોકરાઓ ભણે તેમ જ છોકરીઓએ પણ ભણવાનું જ હતું. છોકરીઓ ત્યારે ઉપવીત પણ પામતી અને બ્રાહ્મવાદિનીઓના આશ્રમમાં રહી શાસ્ત્ર અને વ્યવહારનું જ્ઞાન પ્રાપ્ત કરતી હતી. એ યુગની બ્રહ્મવાદિનીઓમાં