પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨

ઈશુને 'માનવપુત્ર' અને 'ઈશ્વરપુત્ર' એવાં બે વિશેષણો લગાડવામાં આવે છે. પુત્ર શબ્દનો યહૂદી અને ખ્રિસ્તી પરંપરામાં ગમે તે અર્થ થતો હોય, આપણે તેને વધારે વિશાળ અર્થમાં સમજી શકીએ. પ્રાચીન કાળમાં આપણા દેશમાં ગુલામ સિવાયના બધા સેવકો પુત્ર શબ્દથી પણ સંબોધાતા. શિષ્ય પણ પુત્ર કહેવાતો, અને પુત્રને સેવક તરીકે ઓળખવાનો રિવાજ હતો. માટે માનવપુત્ર અને ઈશ્વરપુત્ર આજની ભાષામાં કહીએ તો માનવસેવક અને ઈશ્વરસેવક. એનો અર્થ એ કે માનવની - જગતની - સેવા દ્વારા ઈશ્વરની આરાધના કરનાર પુરુષ. ખ્રિસ્તી ધર્મનો જે વિશેષ ફાળો છે તે પણ આ જ છે. આગળ કહી ગયા પ્રમાણે બીજાં પ્રાણીઓનાં અજ્ઞાન અને દુઃખનું નિવારણ કરવા માટે પોતાના જીવનને અર્પણ કરવું, એ ખ્રિસ્તી ભક્તો એ વધારેમાં વધારે પ્રમાણમાં વિક્સાવેલો ગુણ છે. ઈશુના જીવનચરિત્રમાંથી એ જ પ્રેરણા વધારેમાં વધારે લેવા જેવી છે. એનો આ લોક માટેનો વૈરાગ્ય કે પરલોક માટેની મમતા રોગી, દરિદ્ર, દુઃખી, પતિતને મદદ પહોંચાડતાં કે બાળક પર પ્રેમ કરતાં મોહનો ડર રાખતાં નહોતાં. એની ધર્મનિષ્ઠા તેવાં કામમાં શબ્બાથના દિવસથી કે આભડછેટથી ડરતી નહોતી. અને તે સાથે જ એવી સેવા કરતાં કરતાં તે માણસોનાં અંતઃકરણને સુધારવાનું તેને વિસ્મરણ થતું નહોતું. આવો ઈશ-માનવ-સેવાયોગ સૌ કોઈએ શીખવા જેવો છે.