પૃષ્ઠ:Ishu Khrist.djvu/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૧

ક્રૂસારોહણ

उपसंहार

એના બલિદાનની અસર ભારે થઈ; જોકે એની પાસે રહેવાની હિંમત તે વખતે બે ચાર સ્ત્રીઓ અને નાનો યોહાન સિવાય કોઈ તે સમયે બતાવી શક્યું નહિ, તોપણ એના મરણ પછી એના શૌર્યનો વારસો એના અનુયાયીઓમાં ઊતર્યા વિના રહ્યો નહિ. એણે વાવેલું નવયુગનું બીજ ફાલીને ભારે મોટું વૃક્ષ થયું. એના મરણ પછી ઘણા યહૂદી પણ ખ્રિસ્તી થયા અને ઘણાઓએ સત્યને માટે પ્રાણાર્પણ કર્યું. જે સામ્રાજ્યસત્તાએ એને દેહાન્તદંડ ફરમાવ્યો તે સત્તા પણ એ નવા ધર્મમાં લીન થઈ ગઈ. પણ ખ્રિસ્તીઓ અને યહૂદીઓ વચ્ચે તીવ્ર વેર બંધાયું, અને ખ્રિસ્તીઓના હાથમાં સત્તા આવતાં યહૂદીઓના ઘણા હાલહવાલ થયા. એ દેશ વિનાના ભટકતા થઈ ગયા, અને આજેયે તેમની સ્થિતિ ઘણી દયામણી જ છે. પણ બીજી રીતે એમનોયે વારસો કાંઈ નાશ પામ્યો નહિ. ધન, તીર્થ, વિધિઓ અને દ્વેષની એમની જડ ઉપાસના ખ્રિસ્તીઓમાં ઊતરી રહી. દૈવાસુર સંપત્તિ વચ્ચેની લડાઈ આળસી નહિ જ. યરિશાલેમનું તીર્થસ્થાન, જે ક્રૂસ પર ઈશુનો પ્રાણ ગયો તે લાકડું, ક્રૂસનો આકાર, એ સર્વે પૂજ્યતાને પામ્યાં પછીના કાળમાં એ જડ પૃથ્વીના કટકા ઉપર સત્તા મેળવવા અનેક વાર લોહીની નદીઓ વહી અને હજુ એ જગ્યા માટેના ઝઘડા મટ્યા નથી. પણ એનો ઉપદેશ? એની સત્યોપાસના ? એનું ધર્મરાજ્ય ?. . . સર્વેને પ્રભુના ધામમાં પહોંચવું છે. પણ કેવી રીતે ? પોતાના વિકારોનો નાશ કર્યા વિના, ઇન્દ્રિયો અને મનને જીત્યા વિના, ચિત્તને શુદ્ધ કર્યા વિના, ભોગોના ત્યાગ વિના, સ્વાર્થવૃત્તિમે અને વિલાસની