પૃષ્ઠ:Ishu Khrist.djvu/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રસ્તાવના


આ નાનકડી પુસ્તકમાળામાં કેટલાક અવતારી પુરુષોનો ટૂંકો જીવનપરિચય કરાવવા ધાર્યું છે. આ પરિચય કરાવવામાં જે દૃષ્ટિબિંદુ ધ્યાનમાં રાખ્યું છે એ વિષે બે શબ્દ લખવા આવશ્યક છે.

અવતારી પુરુષ એટલે શું? હિન્દુઓ માને છે કે, જ્યારે પૃથ્વી પરથી ધર્મનો લોપ થાય છે, અધર્મ વધી પડે છે, અસુરોના ઉપદ્રવથી સમાજ પીડાય છે, સંતતાનો તિરસ્કાર થાય છે, નિર્બળનું રક્ષણ થતું નથી, ત્યારે પરમાત્માના અવતારો પ્રકટ થાય છે. પણ અવતારો કેવી રીતે પ્રકટ થાય છે, એ પ્રકટ થાય ત્યારે એમને કેવે લક્ષણે ઓળખવા, અને એમને ઓળખીને અથવા એમની ભક્તિ કરીને આપણા જીવનમાં કેવા ફેરફાર કરવા, એ જાણવું જરૂરનું છે.

સર્વત્ર એક પરમાત્માની શક્તિ – સત્તા – જ કાર્ય કરી રહી છે. મારામાં – તમારામાં – સર્વેમાં એક જ પ્રભુ વ્યાપી રહ્યો છે. એની જ શક્તિથી સર્વેનું હલન–ચલન–વલણ છે. રામ, કૃષ્ણ, બુદ્ધ, ઈશુ વગેરેમાં પણ એ જ પરમાત્માની શક્તિ હતી. ત્યારે આપણામાં અને રામ–કૃષ્ણાદિકમાં શો ફેર? એ પણ મારા તમારા જેવા મનુષ્ય દેખાતા હતા; એમને પણ મારી તમારી માફક દુઃખો વેઠવાં પડ્યાં હતાં અને પુરુષાર્થ કરવો પડ્યો હતો; છતાં આપણે એમને અવતાર