પૃષ્ઠ:Ishu Khrist.djvu/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

શા માટે કહીએ છીએ? હજારો વર્ષ વીતી ગયાં. છતાં શું કામ આપણે એમને પૂજીએ છીએ?

'આત્મા સત્યકામ - સત્યસંકલ્પ છે,' એવું વેદવચન છે. જે આપણે ધારીએ, ઇચ્છીએ તે પ્રાપ્ત કરી શકીએ એવો એનો અર્થ થાય છે. જે શક્તિને લીધે આપણી કામનાઓ સિદ્ધ થાય છે એને જ આપણે પરમેશ્વર - પરમાત્મા - બ્રહ્મ કહીએ છીએ. જાણેઅજાણે પણ એ જ પરમાત્માની શક્તિનું આલંબન - શરણ - લઈ આપણે જે સ્થિતિમાં આજે છીએ તે સ્થિતિ પ્રાપ્ત કરી છે; અને ભવિષ્યમાં જે સ્થિતિ પ્રાપ્ત કરીશું તે પણ એ જ શક્તિનું આલંબન લઇને કરીશું. રામ-કૃષ્ણે પણ એ જ શક્તિનું આલંબન લઈ સર્વેશ્વરપદ - અવતારપદ - પ્રાપ્ત કર્યું હતું. હવે પછી જે અવતારો થશે તે પણ એજ શક્તિનું આલંબન લઈને. આપણામાં અને એનામાં ફરક એટલો કે આપણે મૂઢપણે - અજાણપણે એ શક્તિનો ઉપયોગ કરીએ છીએ; એમણે બુદ્ધિપૂર્વક - શક્તિને પૂર્ણપણે ઓળખીને - એનું અવલંબન લીધેલું.

બીજો ફરક એ કે, આપણે આપણી ક્ષુદ્ર વાસનાઓને તૃપ્ત કરવા પ્રભુનો ઉપયોગ કરીએ છીએ. અવતારી પુરુષની આકાંક્ષાઓ, એમના આશયો મહાન અને ઉદાર હોય છે; એને જ માટે એ આત્મબળનો આશ્રય લે છે.

ત્રીજો ફરક એ છે કે, સામાન્ય જનસમાજ મહાપુરુષોનાં વચનોને અનુસરનારો અને એમના આશ્રયથી તથા એમના ઉપરની શ્રદ્ધાથી પોતાનો ઉદ્ધાર માનનારો હોય છે. જૂનાં શાસ્ત્રો એ જ એમનો આધાર હોય છે. અવતારી પુરુષો કેવળ શાસ્ત્રોને અનુસરનારા નથી હોતા; એ શાસ્ત્રોના રચનારા