પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અને ફેરવનારા પણ થયા છે. એમનાં વચનો એ જ શાસ્ત્રો થાય છે અને એમનાં આચરણો એ જ અન્યને દીવાદાંડીરૂપ થાય છે. એમણે પરમતત્ત્વ જાણી લીધું છે. એમણે પોતાનું અન્તઃકરણ શુદ્ધ કર્યું છે. એવા સજ્ઞાન, સવિવેક અને શુદ્ધ ચિત્તને જે વિચાર સૂઝે, જે આચરણ યોગ્ય લાગે તે જે સચ્છાસ્ત્ર, તે જ સદ્ધર્મ. કોઈ પણ, બીજાં શાસ્ત્રો એમને બાંધી શકતાં નથી કે એમના નિર્ણયમાં ફરક પાડી શકતાં નથી.

આપણે આપણા આશયોને ઉદાર બનાવીએ, આપણે આકાંક્ષાઓને ઉચ્ચ બાંધીએ અને પ્રભુની શક્તિનું જ્ઞાનપૂર્વક અવલંબન લઈએ તો પ્રભુ આપણામાંયે અવતાર રૂપે પ્રકટ થવા મહેર કરે. વીજળીની શક્તિ ઘરમાં ગોઠવાયેલી છે; એનો ઉપયોગ આપણે એક ક્ષુદ્ર ઘંટડી વગાડવામાં કરી શકીએ, તેમજ તે વડે દીવાના પંક્તિથી આખા ઘરને શણગારી શકીએ. તે જ પ્રમાણે પ્રભુ આપણા પ્રત્યેકના હૃદયમાં વિરાજી રહ્યો છે; એની સત્તા વડે આપણે એક ક્ષુદ્ર વાસનાની તૃપ્તિ કરી શકીએ, અથવા મહાન અને ચારિત્રવાન થઈ સંસારને તરી જઈએ અને બીજાને તારવામાં મદદગાર થઈએ.

અવતારોએ પોતાની રગેરગમાં અનુભવાતા પરમાત્માના બળથી પવિત્ર થવા, પરાક્રમી થવા, પરદુઃખ ભંજન થવા ચાહ્યું. એમણે એ બળ વડે સુખદુઃખથી પર, કરુણા હૃદયી, વૈરાગ્યવાન, જ્ઞાનવાન અને પ્રાણીમાત્રના મિત્ર થવા ઇચ્છ્યું. સ્વાર્થના ત્યાગથી, ઇંદ્રિયોના જયથી, મનના સંયમથી, ચિત્તની પવિત્રતાથી, કરુણાની અતિશયતાથી, પ્રાણીમાત્ર તરફના અત્યંત પ્રેમથી, બીજાનાં દુઃખોનો નાશ કરવા પોતાની સર્વ શક્તિ