આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૬
જયા-જયન્ત
ગિરિરાજ: ધીરજ ધરો, રાણીજી ! ધીરજ:
- ધીરજમાં ધરણીધર છે.
રાજરાણી:: નાથ ! કેટકેટલાં વન ભમ્યાં,
- ખીણો ઉતર્યાં, પર્વતો ચ્હડ્યાં ?
- ક્ય્હાં જયા ! ને ક્ય્હાં જયન્ત ?
- ને ક્ય્હાં મ્હારા સન્તાન જેવાં
- વ્હાલસોયાં ગિરિલોક ?
- નિરવિધિ લાગે છે દુઃખનો સંસાર.
ગિરિરાજ: નિરવિધ ભાસે છે સંસારમાં
- ત્હેને યે અવધ છે, રાણીજી !
રાજરાણી: ક્ય્હાં એ ગંગોત્રીનાં જલજૂથ,
- ને ક્ય્હાં એ અલબેલી યોગગુફાઓ ?
- ક્ય્હારે નિરખશું નયણાં ભરી
- હતું તે સહુ ? ઓ નાથ ?
ગિરિરાજ: જગત જોયું ન્હોતું ત્હમે કે મ્હેં,
- તે જોયું આપણે યાત્રા કરી.
રાજરાણી: પ્રારબ્ધના અંક અવળા હશે;
- નહીં તો દેવી જેવી દીકરી
- ને પ્રભુ જેવો પ્રધાનપુત્ર,
- યોગીઓનાં યે જાણે આદર્શ;
- એમને હોય આવાં વીતકો ?