પૃષ્ઠ:Jaya-Jayant-Nahanalal Dalpatram Kavi.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૦
જયા-જયન્ત
 


જયા ! આ ત્‍હારા મઠનો પાયો,
નીચે લખ્યું છે 'પુણ્યજીવન.'
ને ત્‍હારો મન્દિરધ્વજઃ
ઉપર લખ્યું છે 'જીવનસિદ્ધિ.'

કાશીરાજ : પણ, બ્રહ્મબાલે !

શું શું કરશો આ મઠ માંડીને ?

જયા : રાજેન્દ્ર ! ગંગાએ મ્હારી અશુદ્ધિ ધોઇ,

મૈયાએ મ્હને પવિત્રતા પાઇ;
એ પવિત્રતા પસરાવીશ પૃથ્વીમાં.
સ્‍હામે તીરે છે જયન્તની રામવાડી.
ત્ય્હાં છે વીર રસનાં મહાકાવ્ય;
અહીં જન્મશે શૃંગારના કાવ્યશણગાર.
ત્ય્હાં છે બ્રહ્મોપનિષદ;
અંહી અવતરશે બ્રહ્મકવિતા.
પ્રભુની આજ્ઞા છે સુન્દરીસંઘને કે
જગત જન્માવવું ને ધવરાવવું.
આ મઠમાં કામધેનુઓ ઉછેરીશ;
એ કામધેનુઓ નરલોકને ધવરાવશે,
ને માનવીનાં દેવ ઉછેરશે.
અવનીને અમૃતમેઘથી સીંચશે,
ને અમરો ઉતરશે વાડીએ વાડીએ.