આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૯
જયા-જયન્ત
- વસવાં વિહારના પરમ ઉપવનમાં
- ને આણ મૂકવી 'સુગન્ધ ન લેશો!'
- રાજમહેલની મદમોહિનીમાં જીવવાં,
- ને ભાખવું 'ન ભોગવશો એ મોહસ્વપ્નાં!'
- ચન્દ્રભવન સમા જ્યોત્સ્નારંગી પ્રાસાદ
- કેમ કરાય ગુફા સમા યોગાશ્રમ?
જયા : દાસી ! શી માંડી છે આત્મપરીક્ષા ?
- જગતના મહેલોમાં નથી તુજ સરિખડી
- સહુ યે વેશધારી રાજકુમારિકાઓ.
- સૌન્દર્ય શોભે છે શીલથી,
- ને યૌવન શોભે છે સંયમ વડે;
- ને રાજમહેલના ગોખ છે ઉજ્જવળા
- મહેલવાસીઓનાં પ્રભાનિર્મળ પુણ્યાચરણથી.
- ઉરમાંથી જાળું કહાડી તું
- કાં બન્ધાય છે પંડે જ ત્હેમાં કરોળિયો?
નૃત્યદાસી : જયાબા ! અન્ધકાર જીત્યા જાણ્યા ?
જયા : અન્ધકારનાં દળવાદળ અઘોર છે,
- પણ પ્રભાકરની પ્રભા ત્હેમને ફેડે.
- દાસી ! પાપથી પુણ્ય બળવન્તાં, હો!
- અમારા ઉત્તરાખંડમાં તો
- છ માસની રાત્રિ, છ માસનો દિવસ;
- પખવાડિયાની તો ઉષા ઉગે.
- પીધાં હોય એ બ્રહ્મઉષાનાં અમૃત,