પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 


નામની માફક તેમનો દેખાવ પણ છેતરામણો હતો. સાદો પોષાક અને શરમાળ કે સંકોચનશીલ દેખાતો ચહેરો. તમે નજીક જાઓ, બે દિવસ સાથે રહો કે સાથે પ્રવાસ કરો ત્યારે ખબર પડે કે ખાનપાન, વસ્ત્રાભૂષણ અને રહેણીકરણીમાં બાદશાહી ઠાઠ એમને જોઈએ.

એકવાર પરિચય થયા પછી તમારા ઉપર તેમના પ્રેમ અને મમત્વનો પ્રવાહ એવો ચાલે કે તમને એમાં વારંવાર સ્નાન કરવાનું મન થાય. સાહસ, જિંદાદિલી, નેકી અને વફાદારીની વાતો એમની પાસેથી કદી ખૂટે નહીં. લોહચુંબકની જેમ તમે એમનાથી ખેંચાયા વિના રહો જ નહીં. તેમના વ્યક્તિત્વનો પ્રભાવ એવો કે રાય અને રંક સૌને તે પોતાના કરી શકતા.

ભાવનગરના સદ્‌ગત મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી અને ચંદ્રનગર સોસાયટીનો બચુ પગી બંનેના મનમાં જયભિખ્ખુની પ્રેમાર્દ્ર છબી બેઠેલી હોય. સામેના માણસના પદને કારણે તેની સાથેના વ્યવહારમાં ભેદ કરવાનું એ શીખ્યા નહોતા.

સાચદિલ, નિખાલસ મિત્ર ને માર્ગદર્શક તરીકે સ્નેહીમંડળમાં તેમનું સ્થાન હંમેશાં ઊંચું રહ્યું હતું.

આજના જમાનામાં દીવો લઈને શોધવા જવા પડે તેવા બે ગુણ જયભિખ્ખુની સર્વપ્રિયતાના મૂળમાં પડેલા મને દેખાયા હતા : એક તેમનો પરગજુ સ્વભાવ અને બીજો મનની નિર્મળતા.

જેની સાથે માત્ર બે આંખ મળ્યાનો સંબંધ થયો હોય તેને માટે પણ કશુંક કરી છૂટવું એવી એમની સદ્‌ભાવના હંમેશાં રહેલી. દુઃખિયાનાં આંસુ લૂછવાનું એમને વ્યસન થઈ પડ્યું હતું, એમ કહીએ તો પણ ચાલે. વિવિધ વ્યવસાયના માણસો સાથેનો સંબંધ, એ માણસો પરસ્પર સહાયભૂત થાય તે રીતે તેઓ ખીલવતા.

જયભિખ્ખુની યોજક-શક્તિ પણ અજબ. તેનો ઉપયોગ બીજાને લાભકારી થાય તે રીતે તેઓ કરતા. શરીર અશક્ત હોય, આંખો કામ કરતી ન હોય, છતાં કોઈનું કામ થતું હોય તો પોતે કષ્ટ વેઠવામાં આનંદ માને. તેમના આ સ્વભાવને કારણે તેમને આંગણે તેમની સલાહ સૂચના કે મગગને