વર્ણવાયું છે. સંગ્રહની આ પહેલી વાર્તામાં આરંભકાલીન સર્જનની કચાશ અનુભવાય છે. વસ્તુસંકલન રસવાહી ઓછું છે.
બંગાળના સ્વામી વિવેકાનંદના ગુજરાત પ્રવાસ દરમિયાન સૌરાષ્ટ્રના લીંબડી આશ્રમમાં થયેલા એક કટુ અનુભવનું શબ્દરૂપ ‘ભૈરવી ચક્ર’માં મળે છે. આપણે ત્યાં પ્રચલિત નાથ સંપ્રદાય, વામ માર્ગનો એક આશ્રમ જ્યાં મદ્ય, માંસ, મૈથુનને મહત્ત્વ આપવામાં આવતું હતું એ આશ્રમમાં પહોંચેલા સ્વામીને થયેલો કટુ અનુભવ અહીં વર્ણવાયો છે. માનવીમાં હીન પશુવૃત્તિને વર્ણવતી આ વાર્તા સમાજના એક મલિન ચિત્રને શબ્દરૂપ આપે છે પણ લેખકનો હેતુ સમાજને એના દ્વારા લાલબત્તી ધરવાનો છે. વાર્તામાં બીભત્સનું નિરૂપણ હોવા છતાં એ ક્યાંક અશ્લીલ બનતી નથી એ વાર્તાકારની નિરૂપણ લેખે ખૂબી ગણાવી શકાય. ‘સરસ્વતી ને લક્ષ્મી’માં બંગાળના પ્રખ્યાત ચિત્રકાર રવિ વર્માના જીવનનો એક પ્રસંગ આલેખાયો છે. કલાકારની કલામાં ઘણી વાર એવો કીમિયો હોય છે કે એના પારસસ્પર્શે લોકંડ સોનું બની જાય એનું નિરૂપણ સરસ્વતીના મોડેલ તરીકે આવેલી ગોવાનીઝ યુવતીમાંના પરિવર્તન દ્વારા લેખકે કર્યું છે. સોના-રૂપાને ખાતર ધર્મ, ઇમાન અને દેશને વેચવા તૈયાર થનાર દેશદ્રોહી અમીચંદની વાત, ‘અમીચંદ’માં મળે છે તો કવિ કાલિદાસના લોકપ્રિય નાટક ‘શકુંતલ’ને આધારે લખાયેલી ‘શકુન્તલા’ વાર્તાની વિશેષતા વસ્તુની રજૂઆતના જુદાપણામાં છે. પુરાણપ્રસિદ્ધ પાત્રોમાં લેખકે આગવાં અર્થઘટનોની મ્હોર ઉપસાવી છે જેમ કે વિશ્વામિત્ર-મેનકા ઋષિ-અપ્સરા નહીં પણ દગાખોર દગલબાજ નિષ્ઠુર આત્માઓ છે. વિલાસ ને વાસનાના બેજવાબદાર જંતુઓ છે જેમણે માબાપના સૃજન જૂના સંતાનસ્નેહને લાત મારી એ જ રીતે દુષ્યંત અહીં માત્ર શિકારીરૂપે ઉપસે છે, જેણે ભલીભોળી શકુન્તલાને જ્ઞાનના વૃક્ષનું ફળ ચખાડી એના શીલનો શિકાર કર્યો. આવા બેજવાબદાર જગતમાં જન્મેલ શકુંતલા આદર્શ પત્ની, આદર્શ જનેતારૂપે જીવે છે માટે જ એ અને એનાં કાવ્યો અમર છે. વિના સ્વાર્થ સહન કરનાર જ જગતમાં વંદનિય બને છે એ સંદેશ વાર્તામાંથી નીપજે છે.
મહારાષ્ટ્રના દેશભક્ત શિવાજી મહારાજના સાથીદાર ફલટણના બજાજી નિવાલકરને વિજાપુરની શાહજાદીએ પોતાના પ્રેમમાં પ્રચૂર બનાવી