પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તા : ઉન્મેષ અને અભિગમ
૨૩૯
 

જીવનમાં પણ કેવા ઉતાર-ચઢાવ લાવી તેને કેવો બનાવી દે છે તેનું નિરૂપણ કરે છે.

વાર્તાસંગ્રહનો બીજો ખંડ આરંભાય છે કદની દૃષ્ટિએ સંગ્રહની સૌથી લાંબી વાર્તા ‘પરોઢનું પંખી’થી. આપણે આગળ જોયું તેમ આ ખંડની વાર્તાઓ નવા સમાજના આજના યુવક-યુવતીઓના પ્રણય ને લગ્નજીવનનો ચિતાર આપવા મથે છે. લેખક પણ એટલે જ પેટા મથાળું પસંદ કર્યું છે ‘નવયુગ’. ‘પરોઢનું પંખી’ નવયુગની આવી જ એક આધુનિક નારીના વેશ, વિચાર અને વાણીને શબ્દરૂપ આપે છે. વાર્તાની નાયિકા કમલા જેને આધુનિક વિચારસરણી ધરાવતા પિતાએ પુત્રસમોવડી બનાવી હતી. યૌવનના આરંભે આવેલા રમેશે લગ્ન વિશેનાં નવા ખ્યાલો આપ્યા હતા. સ્ત્રીત્વને ભરખી જનારી લગ્નસંસ્થાનો વિરોધ વર્ણવ્યો હતો. વર કે ઘરની ચિંતા વગરના મુક્ત સ્ત્રી-પુરુષ સંબંધોની હિમાયત કરતા રમેશની વાતોમાં રહેલા લોભામણા પણ છેતરામણા રૂપે કમલાને આકર્ષી એના જીવનમાં પતનની શરૂઆત થઈ. જોબન દાનની પહેલી ક્ષણે સ્ત્રી-પુરુષના વિપરીત સ્વભાવને વર્ણવતો લેખક કહે છે, ‘સ્ત્રીના દેહમાં સિંહણનો ગર્જારવ હોય છે. જોબનના પહેલા દાન સુધી અસ્પૃશ્ય જોબનવાળી યુવતી અગ્નિ સમાન તેજસ્વી હોય છે. જ્યારે પુરુષ જોબનની પહેલી ખેરાત સુધી એ નમ્ર, ભલો ને ભોળો હોય છે. જોબનનો પહેલો જામ ચાખતાંની સાથે એનામાં સિંહની મસ્તી પ્રગટે છે. નરમાંસ ખાધા પછી વકરેલા વાઘની જેમ સદા એ તાકમાં ફરતો રહે છે.’ (પૃ. ૧૦૨). કમલાનું પતન એને એક એવા કિનારે લઈ આવે છે જ્યાં રમેશ તો છોડીને જતો જ રહ્યો હોય છે પણ માતૃત્વનો પણ ભોગ આપવો પડે એવી પરિસ્થિતિ નિર્માણ થાય છે. જે ડૉક્ટરે એનું નિદાન કર્યું એ જ એને ચૂંથવા તૈયાર થાય છે ત્યારે તેનું સ્ત્રીતત્વ જાગી ઊઠે છે. માતૃત્વ પોતાની ફરજ અદા કરવા બલિદાન આપવા સુધી તૈયારી બતાવે છે. કમલાનું જાગેલું સ્વાભિમાન, સ્વાપર્ણ ડૉક્ટરની શાન ઠેકાણે લાવી બંનેને એક નવા પરોઢની નજીક લઈ જાય છે. વાર્તાનો અંત નવીન, ચમત્કારિક અને નવી આશા જગાવે એવો છે. અલબત્ત, વાર્તામાંથી એ આપોઆપ ફૂટતો જણાતો નથી છતાં સાથે સાથે તે કૃત્રિમ પણ લાગતો નથી.

પ્રેમલગ્નની આનને જાળવવા માટે એક નારી પોતાના પ્રેમનું કેવું