પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સ્ત્રીહૃદયમાં રહેલા અનોખા જનનીભાવનો પરિચય કરાવતી ‘કાંટો ઝેરી છે’ વાર્તા અંજારના મોતીચંદ ગૌરજીના મુખે કહેવાયેલી અનોખી પ્રેમકથા છે. પુત્રસ્નેહ માટે વ્યાકુળ એવી એક નારીજગતના કેવા કેવા ઝંઝાવાતોનો સામનો કરી પોતાની શક્તિ, ભક્તિ ને વિદ્વત્તાથી પ્રજાની સેવા કરનાર મોતીચંદ ગૌરજી જેવા પુત્રની જન્મદાત્રી બને છે, એ લેખકે સરસ રીતે વર્ણવ્યું છે.

આંખ, કાન અને હૈયાને એક સાથે આનંદ આપે એવું ઉમદા સંગીત જાતીય આવેગવાળા ગંદકીના સ્થળોમાં લહેરાવી કાયાનાં કૂંડા કામણને કંઠના કામણ પીરસી પરાસ્ત કરનાર બે તવાયફ ઉત્તમ-ઝગમગની જોડીની વાત આવે છે ‘ઉત્તમ-ઝગમગ’ વાર્તામાં.

પ્રેમનો પંથ એ ખરેખર પાવકની જવાળા છે... નર્યા હાડમાંસના મોહથી જુદો જ આ પ્રેમ તે પ્રિય પાત્ર માટે સર્વસ્વ સમર્પણ કરી દેવામાં સહેજ પણ ખચકાટ અનુભવતો નથી, એ વાતની પ્રતીતિ કરાવતી ‘પ્રેમ પંથ પાવકની જવાળા’ આલમગીર ઔરંગઝેબની પુત્રી જેબુન્નિસાના આકિલખાન સાથેના પ્રેમની અને પ્રેમના ગૌરવ માટે ભડભડતી આગની વચ્ચે બળીને પણ વેદનાનો હરફ ન કાઢનાર પાત્રોની ધીરતા-વીરતાની વ્યથાકથા છે. તો સમાજે પોતાની જડ નીતિરીતિને કારણે સરજેલા સમાજશત્રુ સમાજને જ કેવા ભારે પડે છે એવી વરવી છતાં વાસ્તવિક વાત ‘સમાજે સરજેલા શત્રુ’માં મળે છે. ગાંધીજી આ વાર્તામાં પાત્ર બનીને આવે છે.

ગુંડાઓ ભયંકર હોતા નથી પણ પોતાની કાર્યસિદ્ધિ અર્થે ગૂંડાઓનો ઉપયોગ કરનાર મસ્તિષ્કો ભયંકર હોય છે એ સત્યનો સાક્ષાત્કાર કરાવતી ‘બુદ્ધ અને સુંદરી’ વાર્તા સુંદરી દ્વારા બુદ્ધના ચારિત્ર્યને બદનામ કરાવવાના શ્રમણોના પ્રયત્નથી વિફળતાને અને નિંદાને પણ આત્મસાધનાની સીડી સમજનાર બુદ્ધના ઉમદા વિચારોને શબ્દરૂપ આપે છે. મોહને અંધકા નારીને કેવી દિશાહીન બનાવીને વિનાશને માર્ગે વાળે છે એ સુંદરીના પાત્ર દ્વારા સર્જકે ઠીક ઉપસાવ્યું છે.

સ્ત્રી એ શીતળ જળ પણ છે અને આગ પણ છે. મહાભારત યુદ્ધ માટે કૌરવ-પાંડવને પ્રેરનાર દ્રૌપદીએ લગાડેલી આગ તેજાબની જેમ, વડવાનલની