પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ચરિત્રકાર કોઈ હેતુને લક્ષ્યમાં રાખીને ચરિત્રસર્જન કરતો હોય છે. ક્યારેક વીરપૂજાની સાહજિક વૃત્તિમાંથી ચરિત્રસર્જન થતું હોય છે તો ક્યારેક માનવજીવનનું અધ્યયન કરવાના હેતુથી ચરિત્રકાર પ્રેરાય છે. માનવીને અન્યના જીવનમાંથી બોધ લેવો પણ ગમતો હોય છે. જીવનચરિત્રનો આલેખક ચરિત્રનાયકની જીવનકથા દ્વારા તેનો સંદેશ કે બોધ સમાજને ચરણે ધરવા ઇચ્છતો હોય છે. આવો બોધ વાચકોને પ્રેરક બની, તેમની જીવનયાત્રામાં પથદર્શક બને એવી સર્જકની અંતરંગ ઝંખના આવું સર્જન કરવા પાછળ રહેલી હોય છે.

ચરિત્રસર્જન સમયે ચરિત્રકારે કેટલીક સાવધાની રાખવાની હોય છે, જેમ કે –

જીવનચરિત્ર પ્રથમ વિજ્ઞાન છે, પછી કલા. એટલે ચરિત્રકારે વૈજ્ઞાનિકની જેમ ચરિત્રનાયકના જીવનની હકીકતોના સંગ્રહ અને સંશોધનની બાબતમાં વૈજ્ઞાનિક દૃષ્ટિવૃત્તિ રાખવી પડે છે.
ચરિત્રકારે ચરિત્રનાયકના બાહ્યાંતર વ્યક્તિત્વને તેના સાચા સ્વરૂપમાં પ્રત્યક્ષ કરી આપવું રહ્યું.
જીવનચરિત્રનો વિષય બનેલી વ્યક્તિ વિષે સત્યપૂત માહિતી આપવી એ પણ એની સૌથી મહત્ત્વની ફરજ છે.
નવલકથાકારની જેમ અમુક મર્યાદામાં રહીને ચરિત્રનાયકના જીવનની વાસ્તવિક ઘટનાઓનું રસાત્મક નિરૂપણ કરવાનું હોય છે.
ચરિત્રનાયકના વ્યક્તિત્વનું યથાર્થ પ્રગટીકરણ એ એની બીજી મહત્ત્વની ફરજ છે.

જીવનચરિત્રમાં આમ ચરિત્રનાયકના જીવનની સત્ય હકીકતો અને વ્યક્તિચિત્ર સાથે સૌંદર્યનું સંમિલન થયું હોય તો જ તે સર્જનાત્મક અંશોથી દીપતી મનોરમ કલાકૃતિ બની શકે.

આન્દ્રે મોર્વા કહે છે તેમ ‘ચરિત્ર એવો સાહિત્યપ્રકાર છે જ બીજા કોઈ પણ સાહિત્યપ્રકાર કરતાં નીતિ સાથે સૌથી વિશેષ નિકટનો સંબંધ ધરાવે